અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં એક મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, તેમજ 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી જાહેર થતાં જ ભાજપ, આપ અને કોંગ્રેસ સહિતના પક્ષો તથા અપક્ષો ચૂંટણી પ્રચારની તૈયારીમાં લાગ્યા છે. આ દરમિયાનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ અંગે વાત કરી હતી.
આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપે ઓબીસી કમિશનની રચના ન કરીને, અનામતને લઈને સર્વે ન કરાવીને છેલ્લા બે વર્ષ સુધી નગરપાલિકાઓમાં વહીવટી શાસન આપ્યું. બે વર્ષ સુધી નગરપાલિકાઓની ચૂંટણી રોકીને ભાજપે લોકતંત્રની હત્યા કરી છે. નગરપાલિકાઓની ચૂંટણીમાં લોકો ભાજપને જવાબ આપશે. આમ આદમી પાર્ટી તમામ નગરપાલિકાઓમાં મજબૂતાઈથી ચૂંટણી લડશે. સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. લાઈટ બીલ પણ નગરપાલિકાઓ ભરી ના શકે તેવી હાલત કરી, તેવી ભાજપને ચૂંટણીમાં જવાબ આપો.
ભાજપે OBC કમિશનની રચના ન કરીને, અનામત બાબતે કોઈ સર્વે ન કરાવીને છેલ્લા બે વર્ષ સુધી નગરપાલિકાઓમાં વહીવટી શાસન અને બે વર્ષ સુધી નગરપાલિકાઓની ચુંટણી રોકીને ભાજપે લોકતંત્રની હત્યા કરી છે.
— AAP Gujarat (@AAPGujarat) January 22, 2025
AAP સ્થાનિક મુદ્દાઓને ધ્યાને રાખીને આ નગરપાલિકાની ચૂંટણીમાં ખૂબ મજબૂતીથી લડશે.@isudan_gadhvi pic.twitter.com/tGMw577rG6
તેમણે કહ્યું કે, કેજરીવાલજીનું નગરરાજનું સપનું લઈને આમ આદમી પાર્ટી આગળ વધશે. નગરરાજ અનુસાર જે સોસાયટી નક્કી કરે તે અનુસાર કોર્પોરેટર પોતાનું ફંડ વાપરશે. જો નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધન બનાવવાનો કોઈ પ્રસ્તાવ રજૂ કરશે, તો આમ આદમી પાર્ટી તેના પર જરૂર વિચાર કરશે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, જો કોંગ્રેસ આગામી નગરપાલિકા ચૂંટણી દરમિયાન ગઠબંધન કરવા માગશે તો અમે તે અંગે પણ વિચારશું.