જમશેદપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ઝારખંડની મુલાકાતે છે. આજે તેમની જાહેર સભા પૂર્વ સિંહભૂમની ઘાટશિલામાં છે. વડાપ્રધાન લોકોને જમશેદપુરના ઉમેદવાર વિદ્યુત વરણ મહતોને મત આપવા અપીલ કરશે. પીએમ મોદીની જનસભા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તો બીજી તરફ પીએમ મોદીની રેલીને લઈને ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તામ્ર પ્રતિભા મંચના મેદાનમાં પીએમની સભા: આપને જણાવી દઈએ કે આજે (રવિવારે) ઘાટશિલાના તામ્ર પ્રતિભા મંચના મેદાનમાં પીએમ મોદીની સભા યોજાઈ રહી છે. સભાને ઐતિહાસિક બનાવવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતા છે. PM મોદી સવારે 11 વાગ્યે જનસભાને સંબોધિત કરશે. પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા ઘાટશિલા પહોંચશે. તેમનું હેલિકોપ્ટર ગોલ્ફ ગ્રાઉન્ડમાં ઉતરશે. ત્યાંથી તેઓ રોડ માર્ગે સભા સ્થળે જશે.
પીએમની સભાને લઈને જડબેસલાક બંદોબસ્ત: ગોલ્ફ ગ્રાઉન્ડથી સભા સ્થળ સુધીના રસ્તાની બંને બાજુ બેરીકેટીંગ કરવામાં આવ્યું છે. દરેક ખૂણા પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમની સુરક્ષા માટે 7 IPS, 350 પોલીસ અધિકારીઓ અને લગભગ 2500 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે SPGએ સમગ્ર સુરક્ષાની કમાન સંભાળી લીધી છે. જમીનથી લઈને આકાશ સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીની મુલાકાતના અંત સુધી સભા સ્થળના 10 કિલોમીટરના વિસ્તારમાં ઉડાન પર પ્રતિબંધ રહેશે.
આપને જણાવી દઈએ કે રાજીવ ગાંધી પછી નરેન્દ્ર મોદી એવા બીજા પીએમ છે જે ઘાટશિલાના મૌભંદરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. હિન્દુસ્તાન કોપર લિમિટેડની બંધ ખાણો અને ધલભૂમગઢમાં એરપોર્ટ આ વખતે મુખ્ય મુદ્દાઓ છે. લોકોને આશા છે કે વડાપ્રધાનના આગમનથી કંઈક સારું થશે.