મુંબઈ : લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તેમાં મહારાષ્ટ્રની આઠ બેઠકોનો પણ સમાવેશ થાય છે. આ વખતે બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાલ-વાશિમ, હિંગોલી, નાંદેડ અને પરભણી બેઠકો પર ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ અને કોંગ્રેસની આગેવાની હેઠળના એમવીએ ગઠબંધન વચ્ચે નજીકની સ્પર્ધાના અહેવાલ છે.
![મહત્ત્વની બેઠકો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-04-2024/21318652_2.jpg)
સવારે 11 વાગ્યા સુધી મહારાષ્ટ્રની 8 લોકસભા સીટ પર મતદાનની ટકાવારી : અમરાવતી- 17.73 ટકા, નાંદેડ- 20.85 ટકા, પરભણી- 21.77 ટકા, બુલઢાણા- 17.92 ટકા, યવતમાલ વાશીમ- 18.01 ટકા, અકોલા- 17.37 ટકા, વર્ધા- 18.35 ટકા અને હિંગોલી- 18.19 ટકા મતદાન.
કુલ 204 ઉમેદવારો મેદાનમાં : આ આઠ લોકસભા બેઠકો માટે 204 ઉમેદવારો મેદાનમાં છે. અમરાવતીમાં સૌથી વધુ 37 ઉમેદવારો મેદાનમાં છે. પરભણીમાં 34, હિંગોલીમાં 33, વર્ધામાં 24, નાંદેડમાં 23, બુલઢાણામાં 21, યવતમાલ-વાશિમમાં 17 અને અકોલામાં 15 ઉમેદવારો છે.
![ચૂંટણી જીતવાનું જોશ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-04-2024/21318652_1.jpg)
બીજા તબક્કામાં મહારાષ્ટ્રની આઠમાંથી ત્રણ લોકસભા બેઠકો - બુલઢાણા, યવતમાલ-વાશિમ અને હિંગોલી પર મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) વચ્ચે સીધો મુકાબલો થશે. જૂન 2022માં એકનાથ શિંદેના બળવા પછી શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. પાર્ટી કબજે કરવા માટે લાંબી કાનૂની લડાઈ ચાલી અને અંતે શિંદે જૂથે શિવસેના પર કબજો જમાવ્યો. લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર શિવસેનાના બંને જૂથો આમને-સામને છે.
રાજશ્રી પાટીલ-સંજય દેશમુખ વચ્ચે ટક્કર : યવતમાલ-વાશિમમાં શિવસેનાએ વર્તમાન સાંસદ ભાવના ગ્વાલીમાંથી રાજશ્રી પાટીલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે શિવસેના (UBT)એ સંજય દેશમુખને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. રાજશ્રી હિંગોલીના શિવસેનાના સાંસદ હેમંત પાટીલની પત્ની છે. બુલઢાણામાં શિવસેનાના વર્તમાન સાંસદ પ્રતાપરાવ જાધવ મેદાનમાં છે, જ્યારે શિવસેના (યુબીટી)ના નરેન્દ્ર ખેડેકરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
હિંગોલીમાં શિવસેનાએ આ વખતે વર્તમાન સાંસદ હેમંત પાટિલની જગ્યાએ બાબુરાવ કોહાલિકરને મેદાનમાં ઉતાર્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથે MVAમાંથી નાગેશ પાટીલ અષ્ટિકરને મેદાનમાં ઉતાર્યા છે. એ જ રીતે, પરભણીમાં, સત્તાધારી 'મહાયુતિ' ગઠબંધનનો ભાગ બનેલા રાષ્ટ્રીય સમાજ પાર્ટીના મહાદેવ જાનકર મેદાનમાં છે. જ્યારે શિવસેના (UBT)ના વર્તમાન સાંસદ સંજય જાધવને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
અકોલામાં ત્રિકોણીય હરીફાઈ : ડૉ. બી.આર. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળની વંચિત બહુજન આઘાડી (વીબીએ) આઠમાંથી સાત બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પ્રકાશ આંબેડકર પોતે અકોલાથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના ભાઈ આનંદરાજ આંબેડકર અમરાવતીમાં રિપબ્લિક સેનાના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. અકોલામાં ભાજપના અનુપ ધોત્રે, કોંગ્રેસના ઉમેદવાર અભય પાટીલ અને પ્રકાશ આંબેડકર વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે.
અમરાવતીમાં નવનીત રાણા અને બળવંત વચ્ચે હરીફાઈ : અમરાવતીના વર્તમાન અપક્ષ સાંસદ નવનીત રાણા આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના બળવંત વાનખેડે સામે છે. પ્રહાર જનશક્તિ પાર્ટીના દિનેશ બાબ પણ અમરાવતીથી ચૂંટણી લડી રહ્યા છે. વર્ધામાં ભાજપના વર્તમાન સાંસદ રામદાસ તડસ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમર કાલે વચ્ચે મુખ્ય મુકાબલો થવાની સંભાવના છે. અમર કાલે એનસીપી (શરદચંદ્ર પવાર)ની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.
નાંદેડમાં વસંત ચવ્હાણ અને પ્રતાપ ચીખલીકર વચ્ચે ટક્કર : નાંદેડમાં ભાજપના વર્તમાન સાંસદ પ્રતાપ ગોવિંદરાવ ચિખલીકર કોંગ્રેસના ઉમેદવાર વસંત ચવ્હાણ સામે ચૂંટણી લડી રહ્યા છે. અહીં ભાજપની સ્થિતિ મજબૂત હોવાનું કહેવાય છે. નાંદેડ એ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણનો મતવિસ્તાર છે, જેઓ લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાં ભાજપમાં જોડાયા હતા. વિસ્તારમાં ચવ્હાણનો ઘણો દબદબો છે.