તરભ શિવમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું મહેસાણા :તરભ વાળીનાથ ધામ ખાતે નવ નિર્મિત શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ચાર દિવસ દરમિયાન આ મહોત્સવમાં સંતો, મહંતો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં શિવભક્તો સહભાગી થઈ ધન્ય થયા છે. વાળીનાથ ધામમાં ભક્તિનું ઘોડાપુર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આગામી 22 ફેબ્રુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદી પણ અહીં ઉપસ્થિત રહેશે.
વાળીનાથ મહાદેવ શિવાલય :મહેસાણાના વાળીનાથ ધામ ખાતે નિર્માણાધિન નવીન શિવાલયનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. આ મહોત્સવના પાંચમા દિવસે પણ શિવભક્તોમાં ભારે શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લાના તરભ ખાતે 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલ માલધારી સમાજના આરાધ્ય દેવ ભગવાન વાળીનાથ મહાદેવના શિવાલયનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 ફેબ્રુઆરી સુધી ચાલશે.
1100 કુંડી અતિરૂદ્ર મહાયજ્ઞ :વાળીનાથ શિવાલયમાં મહાશિવલિંગ સુવર્ણ શિખર મહોત્સવ પ્રસંગે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો સાથે સાત દિવસ 1100 કુંડી અતિરુદ્ર હોમાત્મક મહાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. સાત દિવસીય અતિરુદ્ધ મહાયજ્ઞ દરમિયાન 5000 મણ સર્પણ-લાકડું અને 1000 મણ છાણાનો મહાયજ્ઞમાં હોમવામાં આવશે. તેમજ 1500 બ્રાહ્મણ,15000 શિવભક્ત યજમાનોના હસ્તે 1100 કુંડીમાં 51 લાખ આહુતિ આપવામાં આવશે.
પીએમ મોદી આવી રહ્યા છે :માલધારી સમાજના સ્ત્રી-પુરુષ પારંપરિક પોષાકમાં સજ્જ થઈને પોતાની સાંસ્કૃતિક વિરાસત આગળ ધપાવી રહ્યા છે. આ સાથે ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે. આ 1100 કુંડી મહાયજ્ઞમાં ગુજરાત ઉપરાંત ભારતભરના રાજકીય અગ્રણીઓ પણ સહભાગી થઈ રહ્યા છે. ત્યારે આગામી 22 ફેબ્રુઆરીના રોજ અતિરુદ્ર મહોત્સવ અને સુવર્ણ કળશ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ ઉપસ્થિત રહેશે. ઉપરાંત પીએમ મોદીની ઉપસ્થિતિમાં આ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
રામ મંદિર થીમ પર સુશોભન :વાળીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુની પ્રેરણાથી રામ મંદિરની થીમ પર વાળીનાથ મંદિરને સુશોભન કરવામાં આવ્યું છે. આ માટે અહીં દિલ્હી, કોલકાતા અને બેંગલોરથી લીલીયમ, એમ્થોરિયમ, કરનેશન, રોઝ, બ્લુ સ્ટાર, રજનીસ્ટીક, ગ્લેટ, ડેજી, ઓરકેટ, સેવન્ટી, ડિઝાઇન પત્તાની સ્ચાઈલ અને કનિર સહિતના ફૂલ મંગાવ્યા છે. આ ફૂલોથી સુશોભનની કામગીરી કરવામાં આવી છે.
- Chhatrapati Shivaji Maharaj Jayanti 2024: શિવ જ્યોતના સ્થાપન સાથે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિની જૂનાગઢમાં ઉજવણી
- Chhatrapati Shivaji Birth Anniversary : જૂનાગઢના ચિત્રકારે તૈયારી કરી શિવાજી મહારાજને સમર્પિત અદ્ભુત રંગોળી