કચ્છઃ 12 ફેબ્રુઆરી 1948ના દિવસે ભાઈ પ્રતાપ ડીયલદાસ નૈનવાણી, આચાર્ય કૃપલાણી, એસઆરસીના ડાયરેક્ટર્સ તથા ભારત સરકારના અધિકારીઓની હાજરીમાં આદિપુરમાં શિવમંદિર અને ગાંધીજીના અસ્થિઓની સમાધિ બનાવી આદિપુર-ગાંધીધામનો પાયો નાંખવામાં આવ્યો હતો. 1947ની આઝાદી બાદ દેશના ભાગલા વખતે પાકિસ્તાનમાં જે હિન્દુઓ હતા કે જે સિંધ પ્રદેશમાં રહેતા હતા તેમના વસવાટ માટે ગાંધીધામ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. સરદાર પટેલના સૂચનથી કચ્છના મહારાઓ દ્વારા એક ઝાટકે કંડલા બંદર અને અંજાર શહેર વચ્ચેનો 15 હજાર એકર વેરાન પ્રદેશ સિન્ધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લી. એટલે કે એસઆરસીને આપવામાં આવ્યો હતો.
મહાત્મા ગાંધીના હસ્તે થવાનું હતું શહેરનું ઉદઘાટનઃ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ શહેરની સ્થાપનામાં અંગત રસ લીધો હતો. ભાઈપ્રતાપની લાગણી હતી કે શહેરનું ઉદ્દઘાટન મહાત્મા ગાંધીના હસ્તે જ થાય, પરંતુ 30 જાન્યુઆરી-1948ના રોજ ગાંધીજીની હત્યા થઈ ગઈ. આ સમયે આચાર્ય કૃપલાણી સાથેના અગ્રણીઓએ તેમની અસ્થિઓનો એક ભાગ માથે ઉઠાવીને ગાંધીધામ લઈ આવ્યા હતા. જેનો કેટલોક ભાગ કંડલાની ક્રિકમાં પધરાવાયો તો કેટલોક આદિપુરની ગાંધીજીની સમાધીમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. તે દિવસને ગાંધીધામ શહેરના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
એક પંચરંગી શહેરઃ 76 વર્ષ અગાઉ આ શહેરમાં માત્ર ઉજ્જડ મેદાન હતું. જો કે ટૂંકા સમયગાળામાં આ શહેરએ મહા નગર પાલિકાનો દરજ્જો મેળવીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ગાંધીધામ એક પંચરંગી શહેર છે. અહીં દેશના દરેક પ્રાંતમાંથી ખાલી હાથે આવેલા લોકોએ અહીંની જમીન અને ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે આજે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે.
1953માં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપનાઃ વર્ષ 1949થી શહેરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ગાંધીધામ શહેરનો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થાય તે જરૂરી હતું. તેથી વર્ષ 1953માં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના કરવામાં આવી હતી. ભાવિ પેઢીમાં શિક્ષણનું સિંચન કરવા તે સમયના રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સ્કૂલોના સમુહ મૈત્રી મંડળની સ્થાપના કરવામાં આવી હતી. કંડલા પોર્ટની જગ્યાએ કંડલા પોર્ટ મહા બંદર તરીકે વિકસી શકે તે માટે કંડલા પોર્ટની સ્થાપના કરવા દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અહીં આવ્યા હતા. તેથી પોર્ટને ધમધમતું થવામાં મદદ મળી. 1959માં નેહરૂ કેબિનેટમાંથી કંડલા ફ્રી ટ્રેડ ઝોન પાસ કરાવવામાં આવ્યો હતો. 1965માં કંડલા ફ્રી ટ્રેડ ઝોન વિશ્વનો બીજા નંબરનો અને એશિયાનો સૌ પ્રથમ ફ્રી ટ્રેડ ઝોન હતો.
1998માં કુદરતી આફતનો મારઃ વર્ષ 1965માં ભારતમાં બેરોજગારીનો પ્રશ્ન ખૂબ મોટો હતો. ત્યારે તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીધામ આવ્યા હતા. દેશના પ્રથમ સેઝ કાસેઝની સ્થાપના કરી હતી. જેમાં આજે 30000થી પણ વધુ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. એક બાજુ ગાંધીધામ આર્થિક રીતે પ્રગતિ કરી રહ્યું હતું. તે સમયે વર્ષ 1998માં કંડલા પોર્ટ પર ભયાનક વાવાઝોડું આવ્યું હતું. જેમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અનેક લોકો મદદે આવી બાદ આજે ફરી આ પોર્ટ ધમધમતું થયું છે.