ગુજરાત

gujarat

ETV Bharat / state

વેરાવળના બંધ મકાનમાં વિકરાળ આગ લાગી, સદનસીબે જાનહાની ટળી

ગીર સોમનાથમાં વેરાવળના ડાયમંડ ટોકીઝ વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં આગ ભભૂકી હતી. જોકે, ફાયર વિભાગે સમયસર આગ પર કાબુ મેળવ્યો હતો.

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

વેરાવળના બંધ મકાનમાં આગ લાગી
વેરાવળના બંધ મકાનમાં આગ લાગી (ETV Bharat Gujarat)

ગીર સોમનાથ : આજે વહેલી પરોઢે ત્રણ વાગ્યાની આસપાસ વેરાવળના ડાયમંડ ટોકીઝ વિસ્તારમાં આવેલા એક જૂના અને બંધ મકાનના પ્રથમ માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ વિસ્તારમાં ફરજ પર રહેલા બે હોમગાર્ડ જવાનોની સમય સૂચકતાને કારણે આગ વિકરાળ રૂપ ધારણ કરતા અટકી ગઈ હતી. સમગ્ર અકસ્માતમાં કોઈ જાનહાની પણ નોંધાઈ નથી.

બંધ મકાનમાં વિકરાળ આગ :વહેલી પરોઢે ત્રણ વાગ્યાના અરસામાં વેરાવળના ડાયમંડ ટોકીઝ વિસ્તારમાં આવેલ વર્ષો જૂના બંધ મકાનના પ્રથમ માળે વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આગની તીવ્રતા એટલી હતી કે વેરાવળના અલગ અલગ વિસ્તારમાંથી પણ આગના ધુમાડા જોઈ શકાયા હતા. સમગ્ર મામલામાં આ વિસ્તારમાં રાત્રી દરમિયાન ફરજ બજાવતા હોમગાર્ડના જવાન રાકેશ મકવાણા અને આઈ. બી. તવાણીની સમય સૂચકતાને કારણે આગ વિકરાળ બનતા અટકી ગઈ હતી.

વેરાવળના બંધ મકાનમાં વિકરાળ આગ લાગી (ETV Bharat Gujarat)

બે કલાક બાદ આગ પર કાબુ મળ્યો :હોમગાર્ડના જવાનોએ આગ લાગી હોવાનું જોતા જ વેરાવળ ફાયર વિભાગ અને PGVCL ને તુરંત જાણ કરી હતી. આગની જાણ થતા જ આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. અંદાજે એક કલાક સતત પાણીનો મારો ચલાવી અને બે કલાક જેટલી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

સમય સૂચકતાથી જાનહાની ટળી :જે મકાનમાં આગ લાગી હતી તે બંધ હાલતમાં હતું, જેથી અહીં કોઈપણ પ્રકારે જાનમાલનું નુકસાન થયું નથી. આસપાસના વિસ્તારો રહેણાંક અને વ્યાપારિક ધોરણે ચાલતા હતા, રાત્રીનો સમય હોવાને કારણે લોકોની અવરજવર સંપૂર્ણ બંધ હતી. જો આસપાસના રહેણાંક વિસ્તાર અને વ્યાપારિક સંકુલમાં આગ ફેલાઈ હોત તો તેના પર કાબુ કરવો ખૂબ મુશ્કેલ બન્યું હોત.

  1. ઈકોઝોન વિરુદ્ધ ગીર સોમનાથમાં વિરોધનો વંટોળ
  2. સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામો પર JCB ફરી વળ્યા

ABOUT THE AUTHOR

...view details