ગાંધીનગર:ગાંધીનગરમાં સાબરમતી નદી પર આવેલો સંત સરોવર ડેમ છલકાયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની મબલક આવક થતા સંત સરોવર ડેમના 5 દરવાજા ખોલાયા છે. ગાંધીનગર સાબરમતી નદી કિનારે આવેલા 7 ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે. સંત સરોવર ડેમમાંથી 13 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. ડેમ માં 9 હજાર ક્યુસેક પાણીની આવક છે.
સાબરમતીમાં નવનીર આવતા સંત સરોવર ડેમના પાંચ દરવાજા ખોલાયાઃ ગાંધીનગરના આ 7 ગામોને એલર્ટ - Gujarat Rain Updates
Published : Aug 27, 2024, 3:36 PM IST
ગુજરાતમાં છેલ્લા ઘણા કલાકોથી સતત વરસાદ પડી રહ્યો છે, જાણે કે સામાન્ય વિરામ પછી વરસાદ ફરી વિવિધ વિસ્તારોનો એક પછી એક વારો લઈ રહ્યો હોય. ઠેરઠેર પાણી ભરાયા છે તો ઘણી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તેવામાં સંત સરોવર ડેમના 5 દરવજા ખોલવામાં આવ્યા છે. જાણો વિસ્તૃત અહેવાલ... - Gujarat Rain Updates
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગ દ્વાર રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજયના મોટાભાગના ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે.
ગાંધીનગરમાં પણ 3 થી 4 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. સંતસરોવર ડેમની સંપૂર્ણ સપાટી ભરાતાં પાણીના વધારાનો જથ્થો છોડવામાં આવેલ છે સાથે નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ઈન્દ્રોડા, પાલજ, શાહપુર, રંદેસન, બોરીજ, ધોલાકુવા, કોબા, રાયસણ જેવા ગામના નાગરિકોને સાવધ રહેવા અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. સંત સરોવર ડેમમાં હાલમાં 9,000 કયુસેક પાણીની આવક છે. જ્યારે તેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સંત સરોવર બેરેજની સપાટી 55.20 મી. છે. અને 5 ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા હજી પણ બેથી ત્રણ દિવસ વરસાદ વરસસે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેને જોતા જો જરૂર જણાતા અને ઉપરવાસમાં પાણીની આવક વધુ થશે તો સંત સરોવરના ડેમ હજી પણ ખોલવામાં આવશે તેને લઈને સમીક્ષા કરી આગામી નિર્ણય લેવામાં આવશે.