રાજકોટ: રાજકોટ આવેલા ખેડૂતોએ રાજ્યમાં બિનઅધિકૃત બિયારણ વેંચાતા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. સરકારની માન્યતા ન હોય તેવા 5 થી વધુ કંપનીના બિયારણોનો વેચાણ થતું હોવાનુ નિવેદન આપવામાં આવ્યું છે. જેને પગલે ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાની રાવ ઉઠી છે.
Published : 17 hours ago
નકલી બિયારણને લીધે રાજકોટના ખેડૂતોને નુકસાનીની રાવ ઉઠીઃ માન્યતા વગરની 5થી વધુ કંપનીઓ દ્વારા વેચાણનો ખુલાસો - fake seeds in Gujarat
ખેડૂત ક્યાંકને ક્યાંક છેતરપીંડીનો ભોગ બનતો રહે છે અને તેની ભૂતકાળમાં પણ ઘણી બૂમો પડી છે. ઘણી બાબતો પર એક્શન લેવાય છે તો ઘણી બાબતો હજુ એક્શન તો ઠીક ધ્યાને પણ લેવાતી નથી. નકલી બિયારણની બૂમો ઘણા સમયથી સંભળાય છે અને હવે આ મામલે જ્યારે ખેડૂતો નારાજ થયા છે ત્યારે એક્શનની માગણી પણ કરી રહ્યા છે.
વધુ ઉત્પાદનની લાલચ આપી બિયારણના ભાવ ઊંચા ખેડૂતે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વેચાણ કરવા માટે માન્યતા ન ધરાવતા હોય તેવા બિયારણો બજારમાં બિનઅધિકૃત બિયારણો ખેડૂતોને વેચવામાં આવે છે. ખેતીવાડી વિભાગને ખેડૂતો દ્વારા લેખિતમાં જાણ કરાઈ હોવા છતાં કોઈ નકકર કાર્યવાહી કરવામા આવતી નથી. માન્યતા વિનાની બિયારણ કંપની બંધ કરાવી સખ્ત કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ છે. તેમણે વધુમાં ઉમેયું હતું કે, અલગ અલગ એગ્રો કંપની વધુ ઉત્પાદનની લાલચ આપી પોતાનું બિયારણ ઊંચા ભાવે વેચે છે. જેમાં તેજા સુપર, વાગડ સહીતનું બિયારણ આવે છે. જેમાં Note for sale લખેલું હોવા છતાં પણ ખેડૂતોને વેચવામાં આવે છે. આ પ્રકારના બિયારણને કારણે કપાસના પાકમાં ગુલાબી ઈયળ સહિતના પ્રશ્નો આવે છે. અનેક વખત પાકનું નુકસાન પણ થાય છે.
આ અંગે રાજકોટના બિયારણ અધિકારી કોરાટે જણાવ્યું હતું કે, જે રજૂઆત કરનારા હતા તે તમામ જામનગર જિલ્લાના હતા. રાજકોટ જિલ્લા માટે આવી કોઈ ફરિયાદ હજુ સુધી આવી નથી પરંતુ જો અહીં કોઈ ફરિયાદ આવશે તો તેની યોગ્ય તપાસ પણ કરવામાં આવશે સાથે સાથે સંલગ્ન અધિકારીઓને આ બાબતે તાકીદ પણ કરી દેવામાં આવે છે કે, આવું નકલી બિયારણ ક્યાંય વેચાતું હોય તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી.