અમરેલી :તાજેતરમાં ચર્ચાયેલા અમરેલીના પાયલ ગોટી લેટર કાંડ મામલે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને એક પત્ર પાઠવ્યો હતો. જેમાં લેટર કાંડ મામલે હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા બાબતે રજૂઆત કરી છે.
દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો :દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું કે, અમરેલીના તાજેતરના બનાવ અંગે ઇલેક્ટ્રોનિક્સ તથા પ્રિન્ટ મીડિયાના અહેવાલથી મને જાણ થઈ કે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમાં અમરેલી પોલીસ દ્વારા અમરેલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મનિષભાઈ વઘાશીયા, એક મહિલા સહિત કુલ 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ વિભાગ પર કર્યા ગંભીર આક્ષેપ :જ્યારે આરોપીઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેઓને માર મારી કહેવાતા આ પત્ર લખવા માટે ભાજપ આગેવાનના નામ આપવા દબાણ કરેલ તેવી હકીકત અંગે મનીષ વઘાસીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. જે મેં મીડિયાના માધ્યમથી જોઈ હતી, જે અત્યંત ગંભીર બાબત કહી શકાય. અમરેલી પોલીસે પોતાની જાતે, કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરી હોઈ શકે તેમ મારું માનવું છે. વધુમાં, કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે.