અમદાવાદ:કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટીને છોડવાનો નિર્ણય કર્યો છે. 13 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ લખીને ફૈઝલ પટેલે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. આ વાત ટોક ઓફ ધ ટાઉન બનતા કોંગ્રેસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
ફૈઝલ પટેલે પોસ્ટમાં શું લખ્યું હતું?
ખૂબ જ પીડા અને વેદના સાથે, મેં @INCIndia માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. મારા સ્વર્ગસ્થ પિતા @ahmedpatel એ પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને #ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું. મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી. હું શક્ય તેટલા બધા રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખીશ. કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે. મને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છું.
કોંગ્રેસનો ફૈઝલ પટેલને મનાવવાનો પ્રયાસ
આ મુદ્દે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, સ્વર્ગીય અહેમદ પટેલ આ દેશના અને રાષ્ટ્રના ખૂબ જ સન્માનીય નેતા હતા. એમનું કોરોના દરમિયાન અવસાન થયું છે. એમના પુત્ર ફૈઝલ પટેલ ખુબ જ સન્માનીય અને આદરણીય છે. એમણે ગઈકાલે ટ્વિટ કર્યું છે કે, હું પાર્ટીમાં કામ કરવા માંગુ છું પરંતુ મને પાર્ટીમાં કામ કરવા દેવામાં નથી આવતું. ચોક્કસ રીતે એ યુવાન છે, પાર્ટીની અંદર એમનું સન્માન છે. પાર્ટી એમની સાથે જોડાયેલી છે, એ પાર્ટી સાથે જોડાયેલા છે. ક્યાંક કોઈ કારણસર એમણે આ ટ્વિટ કરી છે. એ અંગે અમારા પ્રદેશના મોવડી મંડળ અને દિલ્હી લેવલે ચર્ચા વિચારણા કરીશું. એમનું માન સન્માન જળવાય એમના પરિવારનું માન સન્માન જળવાઈ એના માટે કોંગ્રેસ પાર્ટી કોઈ પાછી પાની નહીં કરે. એમના સન્માન માટે પાર્ટી બધું જ કરશે. એમને જે જવાબદારી લેવાની હશે તે અંગે પાર્ટીના હાઈ કમાન્ડ ચર્ચા વિચારણા કરીને સારો નિર્ણય લેશે.
ફૈઝલ પટેલ કોંગ્રેસથી નારાજ (ETV Bharat Gujarat) શું પાર્ટીએ કોઈ જવાબદારી ન આપતા ફૈઝલ પટેલ નારાજ?
મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલને અત્યાર સુધી કોઈ જવાબદારી આપવામાં આવી નહીં એટલે ફૈઝલ પટેલ નારાજ છે અને તેની અસર પડી રહ્યું છે? તેવા ETV Bharatના પ્રશ્નના જવાબમાં હિંમતસિંહ પટેલે કહ્યું કે, રાજનીતિક કાર્યોમાં અહેમદ પટેલ સાહેબ હતા. તેમના અવસાન પછી એમની સામાજિક સંસ્થાઓની જવાબદારી મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલે બહુ જ સારી રીતે નિભાવી છે. કોંગ્રેસ કમિટી તરફથી એમનું સન્માન જળવાઈ રહેશે. એમને જે કંઈ જે જવાબદારી નિભાવી હોય તે પાર્ટી એમને આપશે. આ બંનેની ઉંમર બહુ જ નાની છે અને અત્યારે બહુ લાંબા સમય નીકળ્યો નથી. એટલે એમના હક અધિકાર પાર્ટી જરૂર આપશે.
કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સની તસવીર (ETV Bharat Gujarat) આ પણ વાંચો:
- કચ્છની આ નગરપાલિકામાં મતદાન પહેલા ભાજપને બિનહરીફ બહુમતી, વિપક્ષમાં બેસવા AAP-કોંગ્રેસમાં રસાકસી જામશે
- જૂનાગઢ કોર્પોરેશન ચૂંટણી: "મતદાનનો બહિષ્કાર નહીં પરંતુ..." શિક્ષિત મતદારોની લોકોને અપીલ