કોમી એકતાનું પ્રતિક રાજપીપળાની હઝરત નિઝામશાહની દરગાહ, જાણો અધધ 52 ગજની મઝારનો પૌરાણિક ઇતિહાસ - ખિદમત અલીબાબા 52 ગજની મઝાર
🎬 Watch Now: Feature Video
Published : Dec 4, 2023, 12:55 PM IST
નર્મદા : રાજપીપળામાં કોમી એકતાના પ્રતિક સમાન હઝરત નિઝામશાહની દરગાહ આવેલી છે. ઉલ્લેખનિય છે કે, અહીં દરેક ધર્મના લોકો શ્રદ્ધાથી માથું ટેકવીને પોતાની ઈચ્છા પૂર્ણ કરે છે. આ દરગાહ ખાતે હઝરત નિઝામશાહની 638 પુણ્યતિથિના ઉર્સની ઉજવણી નિમિત્તે વિશેષ કવ્વાલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરગાહ ખાતે ઉમટી પડ્યા હતા.
હઝરત નિઝામશાહની દરગાહ : નર્મદાના રાજપીપળા ખાતે આવેલી હઝરત નિઝામશાહની દરગાહ ખાતે દરેક કોમના લોકો પોતાની શ્રદ્ધાથી આવે છે. અહીં હઝરત નિઝામશાહની મજારની સાથે તેમના સાથી ખિદમત અલીબાબાની મજાર આવેલી છે. દરગાહના મૌલાના દ્વારા જણાવ્યા અનુસાર આ મજાર 52 ગજની છે. જે આખા એશિયામાં સૌથી મોટી છે. ઉપરાંત આ દરગાહ કોમી એકતાનું પ્રતિક છે. અહીં દરેક કોમના લોકો પોતાની ઈચ્છા પૂર્ણ કરવા આવે છે.
અધધ 52 ગજની મઝાર : ખિદમત અલીબાબાની 52 ગજની મઝાર વિશે માહિતી આપતા મૌલાના કાદરી બાપુએ જણાવ્યું હતું કે, 52 ગજની આ મઝાર એશિયામાં સૌથી મોટી છે. આ દરગાહનો ઇતિહાસ ખૂબ જુનો છે. પહેલા અહીં એરંબા વન હતું. ઉપરાંત રાક્ષસ આવતા હતા. આથી સ્થાનિક લોકોએ હઝરત નિઝામશાહને રાક્ષસોથી બચાવવા માટે રજૂઆત કરી હતી. ત્યારે હઝરત નિઝામશાહે તેમના સાથી ખિદમત અલીબાબાને કહ્યું કે, રાક્ષસને પકડીને નીચે લઈ આવો.
પૌરાણિક ઇતિહાસ : મૌલાનાએ વધુમાં જણાવ્યુ કે, અલીબાબાએ કહ્યું કે, મારી ઊંચાઈ એટલી નથી કે હું ત્યાં સુધી પહોંચી શકું. જેના જવાબમાં ગુરુએ ખિદમત અલીબાબને કહ્યું કે, બીસ્સમીલ્લા બોલીને પોતાનો હાથ ઉપાડ તો તારી ઊંચાઈ વધી જશે. જ્યારે ખિદમત અલીબાબાએ પોતાનો હાથ ઉપર ઉઠાવ્યો તો તેમની ઊંચાઈ 52 ગજની થઈ ગઈ હતી.
કોમી એકતાનું પ્રતિક : આ દરગાહ ખાતે ઉર્સની ઉજવણી નિમિત્તે કવ્વાલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈના કવ્વાલ મુસ્તફા નાઝા અને કર્ણાટકના મુરાદ આતિશ વચ્ચે કવ્વાલીનો મુલાબલો થયો હતો. આ તકે હજારોની સંખ્યામાં હિંદુ અને મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. અહીં 3 દિવસ ઉર્ષ મનાવવામાં આવે છે. આ ઉર્ષમાં લોકમેળો પણ ભરાય છે, જેમાં કોમી એખલાસનો માહોલ સર્જાતો હોય છે.