વલસાડ : જે સમયે ટીવી કે મોબાઈલ અસ્તિત્વમાં ન હતા. ત્યારે માત્ર રેડિયો એક એવું સાધન હતું કે, દરેક જન જનને એકબીજા સમાચારો કે મનોરંજનથી જોડીને રાખતું હતું. વર્ષો પહેલા ઘરમાં રેડિયો હોવો એ એક સ્ટેટ્સ માનવામાં આવતું હતું. તે સમયે રેડિયો ઉપર આવતી લાઈવ ક્રિકેટ કોમેન્ટ્રીને સાંભળવા લોકો રેડિયોની ફરતે બેસી રહેતા હતા. એમાં પણ રેડિયો ઉપર આવતા બીનાકા ગીતમાલા એતો ધમાલ મચાવી હતી. અમીન સયાની જેવા કલાકારો રેડિયોને લીધે સમગ્ર દેશમાં જાણીતા થયા પણ ટેલિવિઝનની એન્ટ્રી થતાં જ રેડિયોનું અસ્તિત્વ જોખમાયું અને ધીરે ધીરે રેડિયો મૃતપાય બની ગયો છે.
યુનાઇટેડ નેશન અને યુનેસ્કો દ્વારા 13 ફેબ્રુઆરીને દર વર્ષે વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષી દર વર્ષે 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જો કે, વલસાડ શહેરની વાત કરવામાં આવે તો વર્ષો પહેલા વલસાડ શહેરમાં અનેક દુકાનો માત્ર રેડિયોના નામથી ચાલતી હતી. પરંતુ આજે આ તમામ દુકાનોમાં માત્ર ઇલેક્ટ્રોનિક સાધનો વેચાય છે. રેડિયો ગાયબ છે. વલસાડમાં મોટા ભાગની રેડિયોની દુકાનોના શટર પડી ગયા છે. કારીગરો શોધે જડતા નથી.
મહત્વનું છે કે, વલસાડ ,વાપી ,ઉમરગામ, સેલવાસ, દમણમાં એફ. એમનું એવું એક પણ સ્ટેશન નથી. જે 24 કલાક ધમધમે જેથી અહીં લોકો માત્રને માત્ર મોબાઈલ ઉપર ઓનલાઈન ગીતો કે ફિલ્મીગીતોની મોજ માણે છે. જેથી રેડિયો કોઈ લેવા તૈયાર નથી. જો રેડિયો હોય તો સુરત અને મુંબઈ સિવાયના એફ એમ સ્ટેશનો એની ફ્રિકવાનસીમાં આવતા નથી. એટલે રેડિયો માત્ર રમકડું બની જાય છે. જો કે, સાંજના છેડે હજુ પણ કેટલાક વયોવૃદ્ધ છે. જે રેડિયોના ગીતોના આજે પણ ચાહક છે. અનેક લોકોના ઘરે રેડિયો માત્ર આભરાઈ કે માળિયે પડ્યા છે.
જો કે,20 મી સદીમાં થયેલ રેડીયોની શોધે વિશ્વમાં ભારે ધમધમાટી બોલાવી હતી. દરેક સ્થળે રેડિયો ઉપકરણ ખૂબ મહત્વનું ગણવામાં આવતું હતું. પણ હવે સ્થિતિ કંઇક ઉલટી છે. વલસાડ શહેરમાં રેડીયોની દુકાનો જ બંધ થઈ ચૂકી છે. ઇલેક્ટ્રોનિક દુકાનદારોએ વેચાણ બંધ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, રેડિયોની શોધ ઇટાલીમાં 1895 થી 1899 દરમ્યાન ગુગલેમો મારકોની દ્વારા કરવામાં આવી હતી. જે બાદ ટેલીગ્રાફની પણ શોધ કરવામાં આવી હતી. હજુ પણ એવો એક વર્ગ જરૂર છે કે, રેડિયો ઉપર આવતી ક્રિકેટ હોય કે ફિલ્મી ગીતો તેને સાંભળવા માટે ઘેલો રહે છે.