વલસાડઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઈડ લાઇન અનુસાર, વલસાડ રેલવે લોકોસેડમાં 13 જેટલા ટ્રેનના ડબ્બામાં 90 બર્થની વ્યવસ્થા સાથે આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યો છે. જેના માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં આ આઇસોલેશન વોર્ડ બનીને તૈયાર થઈ જશે.
વૈશ્વિક મહામારી કોરોનાને પહોંચી વળવા સરકાર સક્ષમ છે, ત્યારે દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડની અછત ન સર્જાય તેવા હેતુથી રેલવે દ્વારા ટ્રેનના ડબ્બાઓમાં વિવિધ આરોગ્યલક્ષી સેવા અને સારવાર આપવા માટે વલસાડ રેલવેના લોકોસેડમાં પણ ટ્રેનના 13 ડબ્બામાં આઇસોલેશન વોર્ડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે..
વર્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની તમામ ગાઈડ લાઇનને અનુસરીને ટ્રેનના ડબ્બામાં આ વોર્ડ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં કુલ 13 કોચમાં 90 બર્થની વ્યવસ્થા ઉભી કરવા યુદ્ધના ધોરણે કમગીરી શરૂ થઇ છે. 1 કોચ 1 કમ્પાર્ટમેન્ટમાં કુલ 8 દર્દી માટે વ્યવસ્થા અને 1 કમ્પાર્ટમેન્ટમાં પેરામેડિકલ સ્ટાફ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. દરેક કોચમાં બે ટોયલેટ અને 2 બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.
નોંધનીય છે કે, વિશ્વ સ્તરે ફેલાયેલી મહામારીમાં પીડિત વ્યક્તિઓને આઇસોલેટેડ વોર્ડમાં સારવાર આપવાની ફરજ પડે છે, ત્યારે આવા સમયે મુંબઈ રેલવે ડિવિઝન દ્વારા 140 બર્થની કોરોના દર્દી માટે ટ્રેનના કોચમાં સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. જે પૈકી વલસાડ લોકોસેડમાં પણ 90 બર્થની સુવિધા 13 કોચમાં ઉભી કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.