વલસાડ: કોરોના સંક્રમણ પર રોક લગાવવા માટે વલસાડ વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા કોવિડ-19 હેઠળના જાહેરનામાનો ચૂસ્ત અમલ કરાવવા કલેકટર આર.આર.રાવલે દંડનીય કાર્યવાહીને તેજ બનાવવા સૂચના જારી કરવા સાથે હવે પ્રવેશદ્વારો પર સઘન ચેકિંગ કરવા તાકીદ કરી છે. જિલ્લાના મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ સરહદ સાથે જોડાયેલા વિસ્તારોના પ્રવેશદ્વારો પર નાકાબંધી કરી પોલીસનું કડક ચેકિંગ કરવા માટે કલેકટરે આદેશ જારી કર્યો હોવાથી તેનું પાલન થતું જોવા મળ્યું હતું.

કલેકટરે કોવિડ-19ના જાહેરનામા હેઠળ વગર કારણે બહાર નહિ નીકળવા, નાક ઢંકાય ત્યાં સુધીના ફરજિયાત માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટેન્સિંગનનો નિયમ, સેનેટરાઇઝરનો ઉપયોગ, વારંવાર સાબુથી હાથ ધોવા, હેન્ડ ગ્લોવ્ઝ જેવા નિયમોનું પાલન કરવા તાકીદ કરાઇ છે. લોકોમાં હજી આ નિયમોના અમલમાં પર્વતતી ઉદાસીનતાને લઇ સંક્રમણ વધી રહ્યું હોવાનું ધ્યાને આવ્યા બાદ આરોગ્ય વિભાગને પણ આ દિશામાં વધુ તેજ કાર્યવાહી હાથ ધરવા સૂચના અપાઇ છે.

જિલ્લામાં જ્યાં કોરોનાનું વધુ પ્રમાણ છે,તેવા વિસ્તારોમાં 30 જેટલા ધનવંતરી આરોગ્ય રથ દ્વારા સર્વેલન્સ શરૂ કરી દેવાયું છે. આ રથ સ્થળ ઉપર જ તાવ, શરદી, ઝાડા, ડાયાબિટિસ, બીપી, ચામડીના રોગની તપાસ,સારવાર આપવાનું શરૂ કરાયું છે. ધન્વંતરી આરોગ્ય રથમાં આરબીએસએસ કે ટીમમાં 2 આયુષ તબીબ, 1 ફાર્માસિસ્ટ અને 1 કર્મચારીનો સમાવેશ કરાયો છે.
વહીવટી તંત્રએ સરકારની ગાઇડલાઇનને અનુસરવા પ્રજા પાસે સહકાર માંગ્યો છે. ટુ, થ્રી અને ફોર વ્હીલર વાહનોમાં ગાઇડલાઇન મુજબ મુસાફરો બેસાડવા, બસમાં 60 મુસાફર, દુકાનદારો, લોકો તથા વેપારીઓને માસ્ક, સેનિટરાઇઝર, સોશ્યિલ ડિસ્ટેન્સનું પાલન કરવા તાકીદ કરી છે.