નવસારી: મહાશિવરાત્રિ અને પિંડી કંદમૂળએ એકબીજા સાથે અનાદિકાળથી ચાલતો આવેલો શબ્દ છે. જે ઘણા ઓછા લોકોને ખબર હશે કે, શિવજીને કંદમૂળમાં પિંડી નામનું કંદમૂળ વધુ પ્રિય છે. આ પિંડી કંદમૂળ માત્ર શિવરાત્રીના દિવસે ઉપવાસ રાખેલા શ્રદ્ધાળુઓ આરોગે છે. હવે લુપ્ત થતી ખેતીને ગણદેવીના ખેડૂતો સાચવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લુપ્ત થતા વારસાને જાળવી રાખવાની પરંપરા હજી સુધી યથાવત છે. એમાં પણ ખાસ કરીને જૂના ફળફળાદીને સાચવી અને આવનારી પેઢીને એનું મહત્વ સમજાવવાના પ્રયાસો ગણદેવી તાલુકાના ખેડૂતો કરી રહ્યા છે આજે વાત કરીશું એક એવા કંદમૂળની જે માત્ર શિવરાત્રીના દિવસે આ રોગવામાં આવે છે.
ગણદેવીના ખેડૂતો કરે છે પિંડીની ખેતી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સોનવાડી ગામમાં હજી પણ કેટલાક ખેડૂતો જૂની અને પરંપરાગત રીતે પિંડીની ખેતી કરે છે. પિંડી જમીનની નીચે દોઢથી બે ફૂટ જેટલી ઉગે છે અને એને તૈયાર થવામાં ખેડૂતોને 8થી 9 મહિનાનો સમય લાગે છે. વધુ પડતી મહેનત થવાના કારણે અન્ય ખેડૂતો પિંડીની ખેતી છોડી રહ્યા છેં. આ વખતે ભાવોની જો વાત કરવામાં આવે તો પિંડીનો અંદાજિત 3500 રૂપિયાનો ભાવ ખેડૂતોને મળે એવી આશા સેવી રહ્યા છે.
મહાદેવને પ્રિય છે પિંડી: પિંડી વર્ષમાં એક વાર થતો એવો પાક છે કે, જેને ઉગાડવામાં 8 મહિનાનો સમય લાગે છે. આ કંદમૂળ શિવરાત્રીના દિવસે આ રોગવામાં આવે અને એ દિવસે એનું અનેરુ મહત્વ છે. એક દંત કથા અનુસાર આ કંદમૂળ પિંડી શિવજી પોતે મહાશિવરાત્રીના દિવસે આરોગતા હતા, ત્યારથી આ પિંડી જગ પ્રસિધ્ધ થઇ અને શિવરાત્રીના દિવસે ઉપવાસ રાખનારા શિવ સાધક આરોગે છે, જે આજે પણ ગણદેવી તાલુકાએ જીવંત રાખી છે. સમય જતા આધુનિક ખેતી તરફ ફરતા ખેડૂતો હવે કંદમૂળ પિંડીની ખેતી તરફ ઓછા વળી રહ્યા છે જેને કારણે હવે આ પીંડીની ખેતી લુપ્ત થવાને આરે આવી છે.

પિંડીની ખેતી વારસાગત ખેતી છે: પિંડી ખેતી વિશે ગણદેવી પંથકના ખેડૂતો જણાવી રહ્યા છે કે, અમે આમ તો કેરી અને ચીકુનો વાવેતર લેતા આવ્યા છીએ. પરંતુ કંદમૂળ પિંડી તે અમારી વારસાગત ખેતી છે. જેનું ધાર્મિક મહત્વ પણ ઘણું ઉમદા છે. જેથી અમે તેને આંતરપાક તરીકે પણ લઈએ છીએ. જેના સારા એવા ભાવ અમને મળે છે અને શિવરાત્રી દરમિયાન તેનું વેચાણ પણ ખૂબ ઊંચા ભાવે થાય છે. જે ખેડૂતોને ફાયદાકારક સાબિત થાય છે. પિંડીની ખેતી અંગે અમે આવનાર પેઢીને પણ શીખવી રહ્યા છે અને તેની મહત્વતા વિશે પણ સમજાવી રહ્યા છે, તેથી આવનાર પેઢી પણ પિંડીની ખેતી કરે તેવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: