વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકાના સિંદૂમ્બર ગામેથી વહેતી માન નદી ઉપર ચેકડેમ કમ કોઝવે બનાવવામાં આવ્યો છે. જે પૂર્વમાં સિંદૂમ્બર અને સામે છેડે ભતાડી ફળીયાને જોડે છે. પરંતુ જે ચેકડેમ કમ કોઝવે બનાવવામાં આવ્યો છે. તે સાંકડો અને નદીના પટથી માત્ર 10 ફૂટની ઉંચાઈ ધરાવતો હોવાથી ચોમાસા દરમિયાન જ્યારે પણ વરસાદી પાણી નદીમાં આવે છે. ત્યારે કોઝવે ઉપરથી પાણી ફરી વળતા તે લોકોની આવન જાવન માટે બંધ થઈ જાય છે.
નદીના સામે છેડે આવેલ ભતાડી ફળીયામાં રહેતા 2500 લોકોને ચોમાસા દરમ્યાન 24 KM ચકરાવો કાપીને ધરમપુર જવાની ફરજ પડે છે. ગામના લોકો અને સરપંચ દ્વારા અનેક સ્થળે મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ અહીં કોઈ કાર્યવાહી થઈ નથી. લોકોની માગ છે કે, કોઝવેને સ્થાને અહીં ઊંચાઈ ધરાવતા બ્રિજનું નિર્માણ થાય ચૂંટણી દરમ્યાન અનેક નેતાઓ મતો લેવા આવે તે સમયે બ્રિજ બનાવી આપવાની વાત કરતા હોય છે. પણ આજ દિન સુધી કોઈ જોવા શુદ્ધા નથી આવ્યું. ગત ચોમાસા દરમિયાન ભતાડી ફળીયાના લોકો સતત 17 દિવસ સુધી સંપર્ક વિહોણા રહ્યાં હતા. નદીમાં પુર આવતા જ્યારે કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યાં હતા.
નોંધનીય છે કે, હાલ કોઝવે એટલી હદે જર્જરિત છે કે, તેના સળિયા દેખાઈ રહ્યાં છે. તેમ છતાં કોઈ સમારકામ નથી. વળી તેની પહોળાઈ ઓછી હોવાથી સામે વાહન આવી જાય તો અન્ય વાહન પણ નીકળી શકે નહીં, માટે લોકોની માંગ છે કે, નદીના પેલે પાર આવેલ લુહેરી ગામ અને ભતાડી ફળીયાના લોકો માટે માન નદી ઉપર ઊચાઈ વાળો બ્રિજ બનાવવામાં આવે.