- સયાજી હોસ્પિટલમાં કામ કરતા કોરોના વોરિયર્સનું મોત
- દયારામ વસાવા કોવિડ સેન્ટર ખાતે ફરજ બજાવતા હતા
- નસિંગ અસિસ્ટન્સ તરીકે બજાવતા હતા ફરજ
વડોદરાઃ મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતા બ્રધર દયારામ વસાવાનું કોરોનાના કારણે મૃત્યુ નિપજતા સયાજી હોસ્પિટલના કોરોના વોરિયર્સમાં શોકની લાગણી પ્રસરી છે.
કોવિડ સેન્ટર ખાતે ફરજ બજાવતા હતા
દયારામ વસાવા મેલ નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા અને તેમને સરકાર તરફથી સૂચન મળતાં તેમને અમદાવાદમાં કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવી ફરી વડોદરામાં કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. જે દરમિયાન અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને સયાજી હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ SSG હોસ્પિટલ ખાતે પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને લઇને હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા તેમના પત્ની તેમજ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
નસિંગ એસોસિએશન દ્વારા પુષ્પ અર્પણ કરી વિદાય આપી
ત્યારે સોમવારના રોજ સયાજી હોસ્પિટલના નર્સિંગ એસોસિએશન દ્વારા કોરોના વોરિયર એવા દયારામ વસાવાને માનભેર વિદાય આપવા પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા.
સયાજી હોસ્પિટલ સિક્યુરિટી દ્વારા ગાર્ડ ઓફ ઓનર
સયાજી હોસ્પિટલના સિક્યુરિટી કર્મીઓ દ્વારા દયારામ વસાવાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. દયારામ વસાવાને ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના પ્રમુખ ડૉ. વિજય શાહ તેમજ નર્સિંગ એસોસિએશનના હોદ્દેદારો અને સયાજી હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીઓએ પુષ્પ અર્પણ કરી ભાવભીની વિદાય આપી હતી.