કાંતિસેન શ્રોફે કચ્છને પોતાની સેવાભૂમિ બનાવી હતી
જળસંગ્રહ, ખેતી, પશુપાલન, હસ્તકલા સહિતના ક્ષેત્રે સ્વરોજગારીના લોકઉપયોગી કાર્યો કર્યા હતા.
કચ્છે એક સારા માર્ગદર્શક ગુમાવ્યા
કચ્છ: કાંતિસેન શ્રોફની મોટી ઉંમર હોવા છતાં તેઓ સામાજિક સેવામાં પ્રવૃત્ત હતા. મૂળ કચ્છી ભાટીયા પરિવારના કાંતિસેન શ્રોફ ભાવનગર રહ્યા બાદ કચ્છને પોતાની સેવાભૂમિ બનાવી હતી.કાંતિસેન ‘કાકા’ એ પોતાના દિવંગત ધર્મપત્ની ચંદાબેન શ્રોફ સાથે મળીને વિવેકાનંદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શ્રુજન, એલએલડીસી જેવી સંસ્થાઓ સ્થાપી હતી. જેના માધ્યમથી કચ્છના અન્ય દાતાઓ અને ગ્રામજનોને જોડી લોકભાગીદારી સાથે કચ્છના ગ્રામવિકાસના ઉત્થાનના સંકલ્પથી જળસંગ્રહ, ખેતી, પશુપાલન, હસ્તકલા સહિતના ક્ષેત્રે સ્વરોજગારીના લોકઉપયોગી કાર્યો કર્યા હતા.
કચ્છ એ એક સારા માર્ગદર્શક ગુમાવ્યા
કચ્છની કાયાપલટ કરવામાં તેમની સંસ્થાનુ પણ યોગદાન રહ્યુ છે. દાનવીર સાથે કર્મશીલ શ્રેષ્ઠી મુરબ્બી કાંતિસેન શ્રોફના નિધનથી કચ્છમાં શોક ફેલાયો છે. કચ્છની હસ્તકળા સહિતની કળાને જીવંત રાખવા સાથે તેને વિશ્વકક્ષાએ લઇ જવામાં તેઓએ અનેક કાર્યો કર્યા છે. દેશના નામાકિંત કલાકારો તેમની સંસ્થાની મુલાકાતે આવી ચુક્યા છે.
કચ્છના લોકો આત્મનિર્ભર બને તે માટે કાકાએ પ્રયત્નો કર્યા હતા
ગ્રામ્યકક્ષાએ કચ્છની ક્ષમતા મુજબ લોકો આત્મનિર્ભર બને તે માટે તેઓએ અનેક પ્રયત્નો કર્યા હતા. કચ્છમાં તેમના નિધનથી કચ્છ એ એક સારા માર્ગદર્શક ગુમાવ્યા છે. જો કે તેમણે કચ્છમાં કરેલા કામોને લઇ તેઓને લોકો હમેંશા યાદ રાખશે. નવસર્જન તેમનો જીવનમંત્ર હતો અને તેથી જ મોટી ઉંમરે તેઓ પ્રવૃત રહેવા માટે ચિત્ર બનાવવાનુ શરૂ કર્યુ હતુ અને તેનુ પ્રદર્શન પણ તેઓ કરી શક્યા હતા.