અઠવાલાઇન્સ વિસ્તારમાં બહુમાળી બિલ્ડીંગના ત્રીજા માળેથી 25 વર્ષીય રાજ પટેલ નામનો યુવક નીચે પટકાતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. જે બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટના બાદ અઠવા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. શુક્રવારના રોજ યુવકની લાશનું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ-મોર્ટમ કરવામાં આવ્યું હતું. જ્યાં મૃતકના મિત્રએ જણાવ્યું હતું કે, રાજ પટેલ વકીલની ઓફિસમાં ફરજ બજાવે છે.
ગુરૂવારના રોજ તે પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે બહુમાળી આવ્યો હતો. જે દરમિયાન ત્રીજા માળેથી રાજ નીચે પટકાતા તેનું મોત થયું હતું. જો કે, ચોથા માળેથી તેની એક બેગ પણ મળી આવી છે. આ ઘટના અગાઉ તેણે મોબાઈલ પર એક મેસેજ પણ કર્યો હતો. મેસેજમાં લખ્યું હતુ કે, હું બહુમાલીની ટેરેસ પર છે અને મારા શરીરમાં કોઈ ઘુસી ગયું છે. એક વ્યક્તિ પાસે રૂપિયા લેવાના હતા. જે લઈ લીધા છે અને પોતાની પાસે ચાલીસ હજાર રોકડા રૂપિયા પડ્યા છે. મારા શરીરમાં ઘુસેલ વ્યક્તિ મારી પ્રગતિ જોઈ નથી શકતું અને જેથી તે આવું કરી રહ્યો છે. તું મને બચાવવા આવ...આ પ્રમાણે નો એક મેસેજ મોબાઈલ પર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતકનું બેગ બહુમાળી બિલ્ડીંગના ચોથા માળેથી મળી આવી હતી અને ઘટના ત્રીજા માળે બની હતી. જે પોલીસ માટે તપાસનો વિષય છે. બહુમાળી કચેરીમાં દરરોજ હજારો લોકોની અવરજવર રહેતી હોય છે ,ત્યારે આ ઘટના શંકા ઉપજાવનારી સામે આવી રહી છે. જો કે, યુવકના મોતના પગલે અઠવા પોલીસની તપાસ દરમિયાન ચોક્કસ હકીકત બહાર આવે તો કોઇ નવાઈ નહીં.