ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને કમોસમી વરસાદને કારણે સમગ્ર ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું હતું. જેમાં ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ડાંગર અને શેરડીના પાકને નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ખેડૂતોના પાકને થયેલાં નુકસાન બાદ રાજ્ય સરકાર દ્વારા અગાઉ 700 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇ ખેડૂતોમાં ક્યાંક અસંતોષની લાગણી પણ જોવા મળી હતી. આ અંગે ખેડૂત સમાજે વિમાન પાક વગરના ખેડૂતોને પણ સહાય મળી રહે તેવા પ્રયાસ સાથે લડત પણ ચલાવી હતી.
આખરે ગુજરાતના ખેડૂતોની મહેનત રંગ લાવી છે અને રાજ્ય સરકારે ફરી કુલ 3795 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના મહત્વના નિર્ણય બાદ ગુજરાતના કુલ 57 લાખ જેટલા ખેડૂતોને મોટી રાહત મળવાની છે. જેમાં સુરત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, ડાંગર અને શેરડીના પાકને થયેલાં નુકસાન બદલ ખેડૂતોને પણ મોટી સહાય મળી રહેશે. રાજ્ય સરકારની જાહેરાત બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. જ્યારે ખેડૂતોએ 35 લાખ જેટલી મહિલાઓ માટે પણ રાહત પેકેજની જાહેરાત કરે તેવી માગ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે કરી છે.