સુરતઃ સુરત શહેરના બીટેક એન્જિયર નિરવ ઓઝાએ ચંદ્રયાન-3 સંદર્ભે એક વિશિષ્ટ સ્કલ્પચર તૈયાર કર્યું છે.આ મૂર્તિકારે ચંદ્રયાનની થીમ પર ગણેશજીની પ્રતિમા તૈયાર કરી છે. જેમાં વિઘ્નહર્તા આગળ વિરાજમાન છે જ્યારે ચંદ્રયાન-3 પાછળ જોવા મળે છે. જેનો હેતુ એ છે કે ચંદ્રયાન-3ને વિઘ્નહર્તાના આશીર્વાદ મળી રહ્યા છે. શ્રીજીની પ્રતિમાને તિરંગાના કલરનો શૃંગાર કરીને મૂર્તિકારે પોતાનો દેશપ્રેમ રજૂ કર્યો છે.
ચંદ્રયાન-3ની થીમઃ સુરત શહેરમાં રહેતા 33 વર્ષીય નિરવ ઓઝાએ બીટેક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમને શ્રી ગણેશની પ્રતિમા બનાવવાનો શોખ છે. દર વર્ષે તેઓ ગણપતિની પ્રતિમા બનાવે છે. આ વખતે તેમણે ચંદ્રયાન-3ની થીમ પર ખાસ ગણેશજીની પ્રતિમા તૈયાર કરી છે. આ સમગ્ર પ્રતિમાનું નિર્માણ શુદ્ધ માટીમાંથી કરાયું છે. આ પ્રોજેક્ટ બનાવતા ચાર થી પાંચ દિવસ લાગ્યા હતા. દેશના 140 કરોડ નાગરિકો હાલ પ્રાર્થના કરી રહ્યા છે કે ઈસરોના વૈજ્ઞાનિકોની મહેનત સફળ થાય. આ પ્રાર્થનામાં નિરવ ઓઝાએ પણ પોતાની પ્રાર્થના અલગ રીતે રજૂ કરી છે.
આ મૂર્તિની થીમ ચંદ્રયાન-3 રાખવામાં આવી છે. જેમાં આગળ ગણેશજી અને પાછળ ચંદ્રયાન-3 રાખવામાં આવ્યા છે. મને પ્રતિમા બનાવવામાં ચારથી પાંચ દિવસ લાગ્યા હતા. જેમાં મેં ફાઇબર, થર્મોકોલ સહિતના મટીરીયલનો ઉપયોગ કર્યો છે. ગણેશજીની પ્રતિમાને તિરંગાના કપડાથી શૃંગાર કર્યા છે. રોકેટની સાઈઝની વાત કરવામાં આવે તો તે સાડા ચાર ફૂટની છે. આ મૂર્તિ બનાવવાનો હેતુ એટલો જ છે કે ચંદ્રયાન-3 અભિયાન સફળ થાય અને આપણા વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવે. ચંદ્રયાન-3 સાથે ગણેશજીના આશીર્વાદ છે...નિરવ ઓઝા (મૂર્તિકાર, સુરત)