સાબરકાંઠા: સમગ્ર રાજયમાં કોરોના વાઇરસના સંક્રમણને લઇ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આંગણવાડી કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા. જેમાં બચત થયેલા અનાજ-તેલના જથ્થાનો ઉપયોગ કરી આંગણવાડી કેન્દ્રના 3થી 6 વર્ષના બાળકોને સાપ્તાહિક સુખડી વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સાબરકાંઠાની 1922 આંગણવાડીના 52,961 બાળકોને સુખડીનું વિતરણ કરવામા આવી રહ્યું છે. આંગણવાડીની બહેનો દ્વારા આંગણવાડીમાં જ સુખડી બનાવવામાં આવે છે.
સાબરકાંઠામાં 52 હજારથી વધારે બાળકોને પોષણયુક્ત ખોરાક અપાયો સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના પ્રભાવને કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારની 1922 આંગણવાડી કેન્દ્રોને નાના ભૂલકાઓના આરોગ્યની તકેદારી માટે બંધ કરવામાં આવ્યા. આ સમયે બાળકોને ગરમ નાસ્તોના અવેજીમાં ઘરે રાંધવા માટે બાલશક્તિ પેકૅટ આપવામાં આવ્યા હતા. આ સાથે બાળકોને પુરક પોષણ જળવાઇ રહે તે માટે પૌષ્ટીક આહાર તરીકે આંગણવાડીની બહેનો દ્વારા બનાવાયેલી સુખડી બાળક દિઠ સપ્તાહમાં એકવાર એક કિલોગ્રામ ઘરે-ઘરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.જેમાં હિંમતનગરના 9,607, પ્રાંતિજના 5,58, તલોદના 5,668, ઇડરના 7,904, વડાલીના 2966, ખેડબ્રહ્માના 8809, પોશીના 7371 અને વિજયનગરના 5,128 મળી જિલ્લાના કુલ 52,961 ભૂલકાઓને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું છે. કોરોનાના કપરા સમયમાં પણ ગુજરાત સરકારનું પોષણ અભિયાન અવિરતપણે ચાલી રહ્યું છે.
જોકે પોષણ આહાર આપવાના પગલે નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધી છે જેના પગલે કોરોના સહિત અન્ય બીમારીઓથી પણ આગામી સમયમાં સ્વસ્થ્ય રહે તેવી પણ પૂર્ણ સંભાવના છે.