રાજકોટ : ઉપલેટા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક હોવાની બાબત સામે આવી છે. જેમાં ગત રવિવારે ગઢાળા ગામની સીમમાં એક વાછરડીનું મારણ થયું હતું, ત્યારે આ તાજી બનેલી ઘટના બાદ મેરવદર ગામની સીમમાં દીપડાએ હુમલો કરતા બાળકીનું થયું મૃત્યુ થયું છે. મધ્યપ્રદેશના ખેતમજૂરની ત્રણ વર્ષની માસૂમ બાળકીનું મૃત્યુ થતાં બાળકીની પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો.
શું છે સમગ્ર મામલો : મળતી માહીતી મુજબ ઉપલેટા તાલુકાના મેરવદર ગામમાં પ્રકાશ કરડાણીની વાડીમાં રહેતા મજૂરોમાંથી એક મજૂર પરિવારની ત્રણ વર્ષની લક્ષ્મી નામની બાળકી અન્ય બાળક સાથે અમી રહી હતી, ત્યારે અચાનક દીપડાએ બાળકી પર હુમલો કરીને બાળકીને લઈ ગયેલ હોવાનું સામે આવ્યું હતું. જેમાં બાળકી બુમાબુમ કરતા સમગ્ર ઘટના અંગે જાણ થઈ હતી. દીપડોએ બાળકી પર હુમલો કર્યા બાદ આ દીપડો બાળકીને મૂકીને ત્યાંથી નાસી છૂટતા થોડી વારમાં આ બાળકી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.
ઘણા સમયથી દીપડાના આંટાફેરા : મેરવદર પંથકના લોકોએ જણાવ્યું છે કે, આ વિસ્તારની અંદર છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી દીપડાનો આતંક અને આટાફેરા જોવા મળે છે. આ વિસ્તારમાં દીપડાઓ દ્વારા અનેક શ્વાનને પોતાની ઝપેટમાં લીધા છે. જેને લઈને ગ્રામજનોમાં છેલ્લા ઘણા સમયથી મનુષ્ય પર હુમલો થવાનો પણ ગંભીર ભય હતો, ત્યારે આ બાબતે તંત્રને જાણ કરી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે. પરતું આવી ગંભીર સ્થિતિ હોવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી એટલે કે પાંજરૂ નહીં મૂકવામાં આવતા છેલ્લા ઘણા સમયથી જે ભય સતાવતો હતો તે બન્યો છે. એક ત્રણ વર્ષની માસૂમ બાળકીનો ભોગ લેવાતા ભય વધુ જોવા મળ્યો છે અને આ ઢીલી નીતિથી એક માતાપિતાએ પોતાની બાળકી ગુમાવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયો અને લોકો પર હુમલો કર્યો
તંત્રની બેદરકારી : ખેતમજૂરી કરતાં મૂળ મધ્યપ્રદેશના સાગ્રીબેન અને નરવેલભાઈ ખરાડીની ત્રણ વર્ષની લક્ષ્મી નામની માસૂમ બાળકીનું મૃત્યુ થતાં માતાપિતા ભાંગી પડ્યા હતા અને બાળકીની માતા ચોધાર આંસુ વહાવતી નજરે પડી હતી અને હૈયાફાટ રૂદનથી હોસ્પિટલ પણ ગુંજી ઉઠ્યું હતું, ત્યારે ત્રણ મહિનાથી દીપડાના આંટાફેરા હોવા છતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરાતા એક ત્રણ વર્ષની માસુમ બાળકીનો ભોગ લેવાયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. જેથી આવી ગંભીર બેદરકારી વધુ કોઈનો ભોગ લેશે તે પહેલા તંત્ર હરકતમાં આવશે કે કેમ તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો : નવસારીના બોદાલી ગામમાં લટાર મારતો દીપડો પુરાયો પાંજરે
તંત્રની કાર્યવાહી : મેરવદર ગામમાં બનેલી આ ઘટના બાદ બાળકીને તુરંત ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેમાં વાડી માલિક અને આસપાસના પંથકના લોકો પણ મૃત બાળકીના પરિવાર સાથે દોડી આવ્યા હતા. આ સાથે તંત્ર પણ દોડી આવ્યું હતું અને આ માસૂમ બાળકીની સ્થિતિ જોઈને પણ સ્તબ્ધ થઈ ગયું હતું. જોકે આ બાબતે તંત્ર હવે નહીં જાગે તો આવનાર દિવસોમાં આ આતંક વધી શકે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતને લઈને શું કાર્યવાહી કરે છે.