રાજકોટ: શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે દરેક શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. ત્યારે ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટી નજીક આવેલ શ્રી રામ મંદિર પરિસરમાં બિરાજમાન શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરમાં મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મહાદેવને કરવામાં આવેલ દીપ જ્યોત અને પુષ્પ શણગારના દર્શન કરવા તેમજ મહા આરતીનો લાભ લેવા શિવભક્તો બહોળી સંખ્યામાં હર હર મહાદેવના નાદ સાથે ઉમટી પડ્યા હતા.
શિવ ભક્તો બહોળી સંખ્યામાં: પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવના વિશેષ મહિના તરીકે ઉજવાય છે. જેમાં શિવ ભક્તો મહાદેવની વિવિધ રીતે પૂજા અર્ચના અને પ્રાર્થના કરતા નજરે પડતા હોય છે. ત્યારે આવી જ સેવા પૂજા ઉપલેટાના ભૂદેવ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે. તેમણે ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટી પાસે આવેલા શ્રી રામજી મંદિરના પરિસરમાં બિરાજમાન શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરમાં 1008 દીપ જ્યોત અને પુષ્પના વિશેષ શણગારનું આયોજન કર્યું હતું. દર્શનનો લાભ લેવા અને મહા આરતીનો લાભ લેવા શિવ ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ભોજન પ્રસાદ: આ આયોજનમાં ઉપલેટા મામલતદાર, માજી ધારાસભ્ય, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન અને ઉપલેટાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મહા આરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તો માટે વિશેષ રૂપે પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિતે ફરાળનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે ભોજન પ્રસાદનો લાભ લેવા માટે બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. ત્યારે આ આયોજનમાં મંદિરના સેવકો, સહયોગીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી અને આયોજનને સફળ બનાવ્યું હતું.