રાજકોટ: રાજ્યમાં શિક્ષકોની ભરતી મામલે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત 11 માસના કરાર આધારિત શિક્ષકોની ભરતીની પ્રક્રિયા હાથ ધરી છે. જે મામલે રાજ્યના અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા પણ નિવેદનો આપવામાં આવી રહ્યા છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બી.એડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીને જ્ઞાન સહાયક ભરતી મામલે આવેદનપત્ર પાઠવીને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી તેવી માંગણી કરી હતી.
500 કરતા વધુ વિદ્યાર્થીએ કર્યો વિરોધ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી.એડ કોલેજોના અંદાજિત 500 કરતા વધુ વિદ્યાર્થીઓ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં એકઠા થયા હતા અને રામધૂન બોલાવી હતી તેમજ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. બી.એડ.ના વિદ્યાર્થીઓની માંગ હતી કે સરકાર દ્વારા જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી તથા બંધ કરવી જોઈએ અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. જ્યારે એક પણ ક્ષેત્રમાં કોન્ટ્રાક્ટ ઉપર ભરતી કરવામાં આવતી નથી. એવામાં માત્ર શિક્ષકોની ભરતી જ કેમ 11 માસના કરાર આધારિત કરવામાં આવી રહી છે.
માત્ર 11 માસની નોકરી: બીએડના વિદ્યાર્થીઓની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોંગ્રેસના નેતા ડો. નિદત બારોટ સહિત વિવિધ કોલેજોના અધ્યાપકો પણ વિરોધમાં જોડાયા હતા. રાજ્ય સરકારની જ્ઞાન સહાયક ભરતી પ્રથા બંધ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલ જે વિદ્યાર્થીઓ બી.એડનો અભ્યાસ કરી રહ્યા છે, તેઓ શિક્ષક બનવા માટેની TET 1 અને TET 2ની પણ તૈયારીઓ કરી રહ્યા છે. એવામાં હવે સરકાર દ્વારા 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી પ્રથાની પ્રક્રિયા હાથ કરવામાં આવી છે. જેને લઇને રાજ્યભરમાં શિક્ષકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.