રાજકોટ: જસદણ તાલુકામાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારીને અનુલક્ષી આટકોટ અને વીરનગર આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સમિતિની એક મિટિંગ કરવામાં આવી હતી.
ગામમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે જરૂરી પગલાઓ લેવાનું મિટિંગમાં નક્કી કરવામાં આવ્યુ હતું. આરોગ્ય વિભાગના સર્વેલન્સ અનુસાર કોરોના વાયરસનું જોખમ 10 વર્ષથી નીચેના બાળકો અને 60 વર્ષથી વધુ ઉમરના વૃદ્ધમાં વધુ રહેલુ છે. ઉપરાંત, ગંભીર બિમારી જેવી કે બ્લડ પ્રેસરની તકલીફ, ડાયાબિટીસની તકલીફ, હૃદય, શ્વાસની તકલીફ, ટીબી જેવા રોગ ધરાવતા વ્યક્તિઓની કુટુંબના સભ્યોએ વિશેષ કાળજી રાખવી જરૂરી છે.
આ માટે પંચાયત દ્વારા ગામના દરેક વિસ્તારમાં વિસ્તાર પ્રમાણે સભ્યો નક્કી કરવામા આવ્યા, જેઓ સમયાંતરે આવા હાઇરિસ્ક વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લેશે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે માર્ગદર્શન આપવા અને તકલીફ જેવું જણાશે તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. ગામમાં બધાજ લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું જે લોકો કામ વગર માસ્ક પહેરા વિના નિકળશેતો 200 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. કોઈ પણ દુકાને ટોળા ભેગા કરીને બેઠા દેખાશે તો, દુકાનદારોને નોટીસ ફટકારીને દંડ વસુલ કરવામાં આવશે.
ગ્રાહક સોશિયલ ડીસ્ટન્સ જાળવે તેની કાળજી રાખવી લોકોએ નિયમોનું પાલન કરવું અને ગામમાં અન્ય જિલ્લામાંથી કોઈપણ વ્યક્તિ આવે તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં અથવા સરપંચને જાણકારી આપવી, કામ વગર કોઈ પણ વ્યક્તિએ બહાર ન નિકળવુ, હાલ ચોમાસાની ઋતુ હોવાથી રોગચાળાની વધુ શક્યતા રહે છે. જેથી દરેક ગ્રામજનોએ પોતાના ઘર અને આજુબાજુમા કચરો ન કરવા તથા સ્વચ્છતા જાળવવી જરૂરી છે.
ટુંક સમયમાં પંચાયત દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે. આ મિટિંગમાં સુપરવાઇઝર દિવ્યા ઉપાધ્યાય કોરોના વિશે માહિતી આપી હતી. આ મિટિંગમાં એફ એચ ડબલ્યુના બહેનો, આશવર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.