જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલાં પાટણવાવના ઓસમ ડુંગરના વિકાસ માટે રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા કોરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ તેનો કોઈ ઉપયોગ થતો ન હોવાનું પ્રવાસીઓ જણાવી રહ્યાં છે. કારણ કે, આ સ્થળ પર શૌચાલય, કેન્ટીન અને બેસવાની સુવિધા કરવામાં આવી નથી. જેથી પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આગામી 12 તારીખે આરોહણ સ્પર્ધાનું આયોજન થતાં લોકો તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે.
આ અંગે પ્રાથમિક માહિતી મેળવવા માટે Etv BHARATએ ઓસમ ડુંગર જઈને પ્રવાસીઓ સાથે મુલાકાત કરી હતી. જેમણે ડુંગર પર સુવિધાઓનો અભાવ હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ ડુંગર પર શૌચાલય સહિતની સુવિધા અંગેની કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
આમ, અસુવિધાઓ વચ્ચે પાટણવાવમાં પ્રથમવાર યોજાનાર આ સ્પર્ધામાં 14 થી 18 વર્ષના યુવકો અને યુવતીઓ ભાગ લેવાના છે. ત્યારે તંત્ર દ્વારા સુવિધા ઉભી કરવામાં આવે છે અથવા તો અધૂરી કામગીરી પૂરી કરવામાં આવે છે કે નહીં તે જાણવું રસપ્રદ છે.