પોરબંદરઃ બેઠકમાં પ્રભારી સચિવએ કહ્યુ કે, ગુજરાત સરકાર દ્રારા આયોજીત પોષણ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લાને કુપોષણ મૂક્ત જિલ્લો બનાવવો છે. આ માટે જિલ્લા આરોગ્ય વિભાગ અને આઇ.સી.ડી.એસ. વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ સેવાના આ યજ્ઞમા કામ કરે તે ખાસ જરૂરી છે. પ્રભારી સચિવએ વધુમાં કહ્યુ કે, સરકારી નોકરીમા છેવાડાનાં લોકો માટે કઇક સારૂ કરવાની તક મળે છે. એ એક પુણ્યનું કામ છે.
પ્રભારી સચિવશ્રીએ કહ્યુ કે, આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટેની રમત કીટમાં ઝીબ્રા, જીરાફ જેવા પ્રાણીઓ સાથે સાથે ગીર, બરડાનાં સિંહ સહિત સ્થાનિક પશુ, પ્રાણીથી વાકેફ થાય તેવી રમત કીટ આપવી, આંગણવાડીનું ટોઇલેટ ચાઇલ્ડ ફ્રેન્ડલી હોવુ જોઇએ. બાળકોને ટાઇમ ટેબલ પ્રમાણે નિયમીત પોષણયુક્ત આહાર મળે છે, તે રૂબરૂ સ્થળ પર જઇને અધિકારીઓએ તપાસવુ જોઇએ, ગુજરાતી સાહિત્ય સમૃધ્ધ છે. જેથી સરકારી કાર્યક્રમોમાં હિન્દીની સાથે સાથે ગુજરાતી ગીતો, સંવાદોને પણ પ્રાધાન્ય આપવુ જેથી યુવા પેઢી ગુજરાતી ભાષા-સાહિત્યથી વાકેફ થઇ શકે.
આ પ્રસંગે ઇન્ચાર્જ કલેકટર વી.કે.અડવાણી એ કહ્યુ કે, જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો સુવિધા સંપન્ન બનવાની સાથે પોષણયુક્ત આહાર મળે, ઘર જેવુ વાતાવરણ હોય તેવો બાળકોને અહેસાસ કરાવવા જિલ્લાનો આઇ.સી.ડી.એસ વિભાગ પ્રયત્નશીલ છે.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણી, પ્રાંત અધિકારી કે.વી.બાટી, પ્રોગ્રામ ઓફિસર અંજનાબેન જોષી સહિત અધિકારીઓ તથા પોરબંદર જિલ્લાનાં ચારેય નગરપાલીકાની સી.ડી.પી.ઓ. બહેનો ઉપસ્થિત રહી હતી.