પાટણઃ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ત્યાગ અને બલિદાનના પર્વ ઈદુલ અઝહાની ઉજવણી સાદગી પૂર્ણ રીતે કરવામાં આવી હતી. શહેરની વિવિધ મસ્જિદોમાં સરકારના નિયમ અને સોશિયલ ડિસ્ટન્સ સાથે મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાજ અદા કરી હતી.
![પાટણમાં મુસ્લિમ બિરાદરોએ સાદગીથી ઈદની ઉજવણી કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03:03:34:1596274414_gj-ptn-01-muslimsinpatancelebratedeidwithsimplicity-vb-vo-7204891_01082020140835_0108f_01057_1108.jpg)
કોરોના મહામારીની અસર ધાર્મિક તહેવારો અને ઉત્સવો પર પડી રહે છે.તમામ ઉત્સવો સાદગી થી કરવામાં આવી રહ્યા છે, ત્યારે શનિવારે બકરી ઈદના પર્વને લઇ પાટણની તમામ મસ્જિદોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઈદની નમાજ અદા કરવામાં આવી હતી.
શહેરના સિદ્ધિ સરોવર પાસે આવેલા ઈદગાહ ખાતે માત્ર ગણતરીના મુસ્લિમ બિરાદરોને મૌલાના ઇમરાને ઈદુલ આઝહાની નમાજ અદા કરાવી હતી અને આ પર્વનું મહત્વ સમજાવી હજરત ઇબ્રાહીમે આપેલા ત્યાગ અને બલિદાનની ભાવનાના ગુણને જીવનમાં ઉતારવા મુસ્લિમ બિરાદરોને અનુરોધ કર્યો હતો.
ઇદગાહ ખાતે આવનાર તમામ મુસ્લિમ બિરાદરોને સેનીટાઇઝર કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. મૌલાના ઈમરાને તહેવારોની ઉજવણી સાથે સાથે કોરોના મહામારીમાં સરકારે સૂચવેલા નિયમોનો જેવા કે મોઢે માસ્ક પહેરવું, સેનીટાઈઝ, સોશિયલ ડિસ્ટન્સ સહિત નિયમોનું પાલન કરવા મુસ્લિમ બિરાદરોને અનુરોધ કર્યો હતો.