પાટણઃ પાટણ શહેર સહિત જિલ્લામાં ઘાતક બનેલા કોરોના સંક્રમણને અટકાવવા અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવ્યાં હતાં.પાટણમા પણ 11 વૉર્ડ વિસ્તારોમાં અગિયાર રથો દ્વારા ઘરે બેઠાં સારવાર આપવામાં આવે છે. દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા ટકોર કરી હતી. જેના પગલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રત્યેક વ્યક્તિના ટેસ્ટિંગ માટે નિર્ણય લેતાં પાટણ શહેર સહિત જિલ્લામાં પણ આ કામગીરી ઝડપી કરવામાં આવી છે. પાટણ શહેરમાં આરોગ્યની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરી દરેક વ્યક્તિના નાકમાંથી ટેસ્ટ સેમ્પલો લઈ તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શનિવારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એન્ટિજન ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર, કર્મચારીઓ,અધિકારીઓ અને અધ્યાપકોના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.
