પાટણ: ઐતિહાસિક રાણીની વાવ ખાતે રાજ્યકક્ષાના કેબિનેટ પ્રધાન બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને રાણકીવાવ ઉત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ ડાયરાની રંગત જમાવી નગરવાસીઓને ડોલાવ્યા હતા.
સુરોથી શણગાર: ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતુ હોય છે. જે અન્વયે પાટણ જિલ્લાની આન,બાન અને શાન એવી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ ગાયિકા ઈશાની દવેએ પાટણની રાણકી વાવમાં રમઝટ બોલાવી દીધી હતી.
હાર પહેરાવીને નમન: કેબિનેટ પ્રધાન બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજીત આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયક રાજભા ગઢવીએ જોરદાર જમાવટ કરી હતી.પાટણવાસીઓ આજે રાજભા ગઢવીના તાલે ઝુમી ઉઠ્યા હતા.રાજભા ગઢવી સાથે પાટણનું ગૌરવ એવાં ગાયક ખ્યાતિ નાયક અને નવઘણસિંહ વાઘેલા પણ જોડાયા હતા. રાણકી વાવ ઉત્સવમાં સહભાગી થતાં પહેલાં બળવંતસિંહ રાજપૂતે પાટણનાં બગવાડા દરવાજા મુકામે આવેલી સિદ્ધરાજ જયસિંહની પ્રતિમા અને વનરાજ ચાવડાનાં સ્મૃતિ ચિહ્નને હાર પહેરાવીને નમન કર્યું હતુ.
આયોજન કરવામાં આવ્યું: આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે પાછળનો મુખ્ય ઉદેશ્ય આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી વાકેફ કરવાનો છે.
રાણીની વાવ ઉત્સવ: ઐતિહાસીક નગરી પાટણનો 1277માં સ્થાપના દિવસ અંતર્ગત રાણીની વાવ ઉત્સવ કેબિનેટ પ્રધાન બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતીમા યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને કલાકારવૃંદ રાજભા ગઢવીએ પોતાના તાલે રાણકી વાવને રંગી દીધી હતી. લીલીછમ હરીયાળી વચ્ચે રાણકી વાવની સુંદરતા અને એમાંય રાજભા ગઢવીના સુપ્રસિદ્ધ ગીતોએ રાણકી વાવની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા. રાણકી વાવનો જાણે ખરા અર્થમાં સુરોથી શણગાર થયો હોય તેવું લાગી રહ્યું હતુ.
વિશ્વ ફલક પર ચમકી: સંગીત સમારોહમાં પાટણની જનતાને સંબોધિત કરતા કેબિનેટ પ્રધાન બળવંત સિંહ રાજપૂતે લોકોને પાટણનાં 1277માં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતુ કે, આજનો દિવસ પાટણ માટે ઉત્સાહ અને ગૌરવનો દિવસ છે. પાટણનાં સ્થાપના દિવસે જ પાટણનું ગૌરવ એવી રાણકી વાવ મુકામે ભવ્ય ઉત્સાહ થવા જઇ રહ્યો છે. પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ 11 મી સદીના અંતિમ ચતુર્થમાસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા 68 મી. લાંબી સાત માળની 27 મીટર ઉંડી વાવનું નિર્માણ કરાવ્યું હતુ. આજે એ રાણીની વાવ આખી દુનિયામાં પ્રસિધ્ધ થઈ ગઇ છે. વર્ષ 2014માં રાણીની વાવને વિશ્વ વિરાસતનો દરજ્જો મળ્યો અને ત્યારબાદ રાણીની વાવની પ્રતિકૃતિ રૂ.100 ની ચલણી નોટ પર અંકિત કરવામા આવી. આજે દેશ-વિદેશથી લોકો રાણીની વાવની મુલાકાતે આવી રહ્યાં છે. જે આપણાં સૌ માટે ગૌરવની વાત છે. પ્રધાને G-20 સમિટ અને અંબાજી યાત્રાધામમાં દર્શન કરવાની વાત પણ કરી હતી. તેઓએ સૌને તા. 12 થી 16 દરમિયાન માઁ અંબાનાં દર્શન કરવા માટે અપીલ પણ કરી હતી.
બલિદાન અને શૌર્ય: પાટણની ઐતિહાસિક રાણીની વાવ ઉત્સવમાં ડાયરા ની રંગત જમાવનાર લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ etv ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિશ્વ ફલક ઉપર ચમકેલી ઐતિહાસિક રાણીની વાવ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે બિરદાવવા લાયક છે પાટણના કણ કણમાં સંસ્કાર સંસ્કૃતિ બલિદાન ત્યાગ ભાવ અને શૌર્ય પડ્યું છે તેને ધીરે ધીરે બહાર લઈ આવવાની જરૂર છે પાટણમાં જે બલિદાનો ધરબાયેલા છે તે લોકો સુધી પહોંચાડવાનું કામ કરવું પડશે--રાજભા ગઢવી (લોકસાહિત્યકાર)
ઉપસ્થિત રહ્યા: સંગીત સમારોહમાં જિલ્લા કલેકટર સુપ્રીતસિંગ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકી જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ અધિક નિવાસી કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, રાધનપુર મતવિસ્તારનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર,નગર પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, કિશોર મહેશ્વરી, હેમંત તન્ના.મનોજ પટેલ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.