જિલ્લાના દક્ષિણ પંથકના ખેડૂતોની જીવાદોરી સમાન કરાડ સિંચાઇ યોજના હંમેશા વિવાદાસ્પદ રહી છે. ત્યારે કરાડ સિંચાઇ યોજના અંતર્ગત કેનલોના રખરખાવ અને સમારકામ બાબતે દર વર્ષે ખેડૂતોમાં અસંતોષ જોવા મળે છે. કરાડ સિંચાઇ યોજનાને લઈને આ વખતે વધુ એક વાર વિવાદ ઊભો થયો છે. જેમાં ખેડૂતો સીધા જ લડતના મૂળમાં જોવા મળી રહ્યા છે . હાલમાં કરાડ સિંચાઇ યોજનામાં નહેરોની સમારકામનું કામ ચાલી રહ્યું છે. જે કામ દર વર્ષની જેમ જ ગુણવત્તા વગરનું હોવાનું માલૂમ પડતાં ખેડૂતોએ જનતા રેડ કરીને હલ્લાબોલ કરી હલકી ગુણવત્તાની બાંધકામની કામગીરી અટકાવી દીધી હતી.
આ કરાડ સિંચાઇ યોજના દ્વારા કાલોલ અને ઘોઘંબા તાલુકાના ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. આ બંને તાલુકાના ખેડૂતોને પાક લેવા માટે એક માત્ર કરાડ સિંચાઇ યોજનાના પાણી પર આશ્રિત રહેવું પડે છે. અંદાજિત 25 કિમી લાંબી આ નહેર 6100 હેક્ટર ખેતીની જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડતી હોવાથી ખુબ જ મહત્વની યોજના છે. પરંતુ કરાડ સિંચાઇ યોજનાની નહેરોની બિસ્માર હાલતને લીધે ખેડૂતોને આપવામાં આવતા પાણીનો મોટો જથ્થો વેડફાઇ જતો હોય તેવી ફરિયાદો ઉઠતી હોય છે. દર વર્ષે કરાડ યોજનાની નહેરોનું સમારકામ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ નહેરોની બિસ્માર હાલતનું કારણ જણાવી અનેકવાર સિંચાઇ અધિકારીઓએ નહેરોમાં પાણી છોડવામાં આવતું નથી. જેથી નહેરોના સમારકામમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ખેડૂતો કરતાં હોય છે.
ખેડૂતો દ્વારા રીયાલીટી ચેક કરવામાં આવતા ઈજારેદારે બનાવેલ નહેરના સ્લેબમાં માત્ર સિમેન્ટ અને કોન્ક્રીટનું પાતળું પળ જ બનાવીને છોડી દીધું હોવાનું જણાયું હતું. ખેડૂતો દ્વારા તે સ્લેબને ચકાસતા સ્લેબ સ્પર્શ કરતાની સાથે જ તૂટી ગયો હતો. ખેડૂતો આક્ષેપો કરી રહ્યાં છે કે, અનેક રજૂઆત કરવા છતાં પણ કોન્ટ્રાક્ટર કે સિંચાઈ વિભાગના અધિકારીઓ કામના સ્થળે જોવા સુદ્ધાં આવતા નથી. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, આ વખતે પણ જો યોગ્ય કામગીરી નહીં થાય તો કેનાલ પર ધરણા કરી લડી લેવાની તૈયારી બતાવી રહ્યાં છે.
જોકે ભ્રષ્ટાચાર થયો હોવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ કોન્ટ્રાક્ટરનો લૂલો બચાવ કરી રહ્યાં છે. તેમના મુજબ કરાડ સિંચાઈ નહેરનું સમારકામ યોગ્ય રીતે જ ચાલે છે. સરકારી ધારાધોરણ મુજબ જ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરાતું હોવાનો દાવો અધિકારી કરી રહ્યાં છે અને ખેડૂતોના આક્ષેપોને પણ નકારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાનમ સિંચાઇ યોજના અંતર્ગત કરાડ યોજનાના નહેરોના સમારકામ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જે માટે 18 લાખના બજેટની ફાળવણી કરવામાં આવી હતી.