કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી-મુંબઈ ગ્રીન કોરીડોર બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. ગ્રીન કોરીડોર સિક્સ લેનનો નેશનલ હાઈવે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવનાર છે. ત્યારે કેન્દ્ર સરકારના નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા આ ગ્રીન કોરીડોરના નિર્માણ માટે હાલ જમીન સંપાદન કરવા અંગેની કાર્યવાહી પ્રગતીમાં છે. ત્યારે પંચમહાલ જીલ્લાના ગોધરા અને મોરવા હડફ તાલુકામાંથી પણ આ ગ્રીન કોરીડોર પસાર થાય છે. જે અંગેની જમીન સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બન્ને તાલુકાના જમીન માલિકો એવા આદિવાસી ખેડૂતો દ્વારા આ ગ્રીન કોરીડોર તેઓની જમીનમાંથી પસાર નહી કરવા માટે સરકારને અનેકવાર રજુઆતો કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આજે પંચમહાલ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
આ હાઈવે બનવવા માટેની જમીન સંપાદનની કાર્યવાહી બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે, ખેડૂતોની રજૂઆત છે કે, આદિવાસી વિસ્તારમાં બંધારણના નિયમ પ્રમાણે આ વિસ્તારમાં વસતા આદિવાસીઓની જમીનમાં તેઓની લેખિત મંજુરી વિના કોઇપણ યોજનાનું અમલીકરણ ન કરી શકાય તેમ છતાં પણ સરકાર દ્વારા તેઓને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર જ જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે. જે સદંતર બંધ કરવામાં આવે અને આ હાઈવેને અન્ય જગ્યાએથી પસાર કરવામાં આવે.સાથે સાથે ખેડૂતો એ પણ જણાવી રહ્યા છે કે આજ પ્રમાણે જયારે પંચમહાલ જીલ્લામાં પાનમ ડેમ અને હડફ ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે વખતે પણ સરકાર દ્વારા આ ડેમના ડુબાણમાં જતા ખેડૂતોની જમીન સંપાદન કરી અન્ય જગ્યાએ જમીન અને વળતર આપવાની વાત કરવામાં આવી હતી.જે આજદિન સુધી પરિપૂર્ણ કરવામાં આવી નથી.
જેથી આ હાઈવે બનાવવામાં પણ જે જમીન સંપાદિત કરવામાં આવશે તેની સામે પણ સરકાર જમીન કે વળતર આપશે કે નહિ તે મોટો પ્રશ્ન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગ્રીન કોરીડોરના નિર્માણમાં પંચમહાલ અને દાહોદ જીલ્લાના આદિવાસી વિસ્તારોના અનેક ખેડૂતોની ખેતીની જમીન તેમજ તેમના રહેણાંક મકાનો પણ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવ્યા છે . જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવતા જીલ્લા કલેકટર દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવાની ખેડૂતોને ખાતરી આપી હતી .