નવસારી : કોરોનાની મહામારીમાં જાહેર થયેલા લોકડાઉનને કારણે સૌથી મોટી અસર મજૂરો પર પડી છે. ખાસ કરીને સુરતની કંપનીઓમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની સ્થિતિ કફોડી બની છે. ગત રવિવારે સુરતના પાંડેસરાના કારખાનામાં મજૂરી કરતા 11 ઉડીયા મજૂરો રોજગાર બંધ થતા અને આર્થિક સંકડામણથી કંટાળી પોતાની સાથે થોડા પૌઆ લઈ સાયકલ પર 1547 કિમી દૂર પોતાના વતન ઓડિશા જવા નીકળ્યા હતા. પરંતુ નેશનલ હાઈ-વે નં.48 પર નવસારીના રણોદરા ગામની ચેકપોસ્ટ પર નવસારી ગ્રામ્ય પોલીસે તેમને અટકાવ્યા હતા અને જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી હતી. જો કે, બાદમાં તેમની પરિસ્થિતિ જાણતા પોલીસે માનવતા દર્શાવી તમામને ભોજન કરાવી, સમજાવ્યા હતા અને ટેમ્પો મારફતે તેમને પરત પાંડેસરા તેમના રૂમ સુધી પહોંચાડ્યા હતા.
![police helps odisha workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-02-udiya-majuro-rtu-gj10031_21042020232445_2104f_03882_840.jpg)
![police helps odisha workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-02-udiya-majuro-rtu-gj10031_21042020232445_2104f_03882_185.jpg)
દરમિયાન સુરતના પાંડેસરા વિસ્તારમાં કારખાનામાં કામ કરતા મૂળ ઓડિશાના 11 મજૂરો ભૂખ અને આર્થિક તંગીથી કંટાળી ગત 19 એપ્રિલ, રવિવારે સાયકલ પર પોતાના વતન ઓરિસ્સા જવા નીકળ્યા હતા. જેઓ નેશનલ હાઈ-વે નં. 48 પરથી પસાર થતા હતા, ત્યારે નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા હાઈ-વે પર રણોદરા ગામે બનાવેલ ચેક પોસ્ટ પર તેમને અટકાવ્યા હતા. જ્યાં ચેક પોસ્ટ પર હાજર ગ્રામ્ય પોલીસે તેમની પૂછપરછ કરતા ઉડીયા મજૂરોએ પોતાના ગામ ઓરિસ્સા જવા નીકળ્યા હોવાનું જણાવ્યું હતું. પણ તેમની પાસે પૂરતા પુરાવા ન હોવાથી પોલીસે તમામની જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી હતી.
![police helps odisha workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-02-udiya-majuro-rtu-gj10031_21042020232445_2104f_03882_599.jpg)
બાદમાં ગ્રામ્ય પીઆઈ પી.પી.બ્રહ્મભટ્ટ અને પીએસઆઈ પી.વી.પાટિલની પૂછપરછમાં ઉડીયા મજૂરો સુરતના પાંડેસરા રહેતા હોવાનું અને લોકડાઉન લંબાવાને કારણે કારખાના બંધ રહેતા તેમની પાસે પૈસા ખૂટી પડ્યા હતા. સાથે જ તેમની ખાવા-પીવાની કોઈ સગવડ ન થતા સાયકલ પર 1547 કિમી દૂર પોતાના વતન ઓડિશા જવા નીકળ્યા હતા. જ્યારે રસ્તામાં ભૂખ લાગે તો ખાવા માટે પૌઆ સાથે લીધા હતા. સાથે જ રોજ 100 કિમી અંતર કાપશે, તો 15 દિવસમાં પોતાના વતન પહોંચી શકશેની વાત કરી હતી. મજૂરોની સ્થિતિની જાણ થતા જ ગ્રામ્ય પોલીસે તેમને ભોજન કરાવ્યુ હતુ અને બાદમાં તેમને સમજાવ્યા હતા કે લોકડાઉનમાં બધે બંદોબસ્ત હોવાથી તેમની સામે કાયદાકીય કાર્યવાહી થશે. જે વાત મજૂરો માન્ય હતા અને બાદમાં તમામ ઉડીયા મજૂરોને સાયકલ પરત આપી, એક ટેમ્પોમાં બેસાડી સુરત તેમના રૂમ પર પરત પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
![police helps odisha workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-02-udiya-majuro-rtu-gj10031_21042020224918_2104f_1587489558_229.jpg)