નવસારી : હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સોમવારે મેઘરાજાએ બેટિંગ ચાલુ રાખી છે. જેમાં પણ પવનની તેજગતિ સાથે ગતરાતથી વહેલી સવાર દરમિયાન જિલ્લામાં ભારે વરસાદ પડતા તોતિંગ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જ્યારે નવસારી અને વિજલપોર શહેરના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. સાથે જ વિજલપોરના નીંચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી હતી. હવામાન ખાતાની આગાહીને આધારે નવસારી જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.

ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નવસારી શહેરના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જ્યારે વિજલપોરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકોએ હેરાનગતિ વેઠવી પડી હતી. જો કે, બપોર બાદ મેઘો થોડો શાંત થતા લોકોએ રાહત અનુભવી હતી. રવિવારની રાત્રીથી ભારે પવન સાથે વરસતા વરસાદમાં નવસારી સહિત જિલ્લાના ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે.

નવસારી-જલાલપોર માર્ગ પર વહેલી સવારે પડેલા વૃક્ષોને NDRFની ટીમે એક કલાકની જાહેમત બાદ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જ્યારે કબીલપોર વિસ્તારની ઈશ્વર પાર્ક સોસાયટી નજીક પડેલા વૃક્ષને નવસારી ફાયરની ટીમે કાપીને ખસેડ્યું હતું. જ્યાં વીજ લાઈનને અસર થતા વીજ પુરવઠો સવારથી બપોર સુધી બંધ રહ્યો હતો. જલાલપોરના મરોલી પંથકમાં પણ રસ્તાની બાજુમાં આવેલું તોતિંગ વૃક્ષ પડી ગયું હતું. જો કે, તોતિંગ વૃક્ષો ધરાશાયી થવાના કારણે કોઈ જાનહાની થઇ નથી.

નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદમાં જલાલપોરમાં સવા ત્રણ ઇંચ, નવસારીમાં ત્રણ ઇંચ અને ચીખલીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ખેરગામમાં બે ઇંચ, ગણદેવીમાં સવા ઇંચ અને વાંસદામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
જિલ્લામાં ક્યા કેટલો વરસાદ
- નવસારી - 72 MM
- જલાલપોર - 80 MM
- ગણદેવી - 34 MM
- ચીખલી - 61 MM
- વાંસદા - 14 MM
- ખેરગામ - 46 MM