- ઓક્સિજનની વધુ જરૂર સાથે આવેલા ત્રણ દર્દીઓ પણ થયા સાજા
- કોરોનાને માત આપનારા તમામ દર્દીઓને તાળીઓના નાદ સાથે અપાઈ રજા
- દર્દીઓએ ડૉક્ટરો અને સંસ્થાનો આભાર માન્યો
નવસારી : જિલ્લામાં કોરોના સંક્રમણ વધતાં હોસ્પિટલો હાઉસફૂલ થતા જિલ્લા ભાજપે દાતાઓના સહયોગથી ઓક્સિજનની સુવિધા સાથે શરૂ થયેલા નમો કોવિડ કેર સેન્ટરમાંથી આજે રવિવારે સાત દર્દીઓએ કોરોનાને માત આપી છે. દર્દીઓને ભાજપી આગેવાનો અને સેન્ટરના સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે ઉત્સાહ વધારતા રજા આપી હતી. જેમાં ત્રણ દર્દીઓ ગંભીર અવસ્થામાં સેન્ટરમાં આવ્યા હતા. જેમને રજા મળતા પરિવારજનોએ સેન્ટરના ડૉક્ટર, સ્ટાફ અને સંસ્થાનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો : 28 વર્ષીય યુવક કોરોનાને માત આપ્યા બાદ ઘોડેસવારી કરી ઘરે પરત ફર્યો
વધુ ઓક્સિજનની જરૂર સાથે દાખલ થયેલા દર્દીઓ થયા સાજા
નવસારી જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોના સંક્રમણ વધતાં જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ હતી. જેથી જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા દાતાઓના સહયોગથી નવસારી વિજલપોર નગરપાલિકાના પારસી હોસ્પિટલ પાસેના કોમન પ્લોટ નજીક આવેલી એચ. દિપક કંપનીના બંધ પડેલા મકાનમાં 100 બેડની સુવિધા સાથેનું નમો કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતુ. જ્યાં 30 બેડ પર અવિરત ઓક્સિજન મળે એ પ્રકારે હવામાંથી ઓક્સિજન જનરેટ કરતો પ્લાન્ટ પણ લગાવ્યો છે. સેન્ટર શરૂ થવાના થોડા દિવસોમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા, અહીં પણ વધી ગઈ હતી. જેમાં ઘણા દર્દીઓનું ઓક્સિજન લેવલ 70- 75 સુધી હોય એવા દર્દીઓને પણ અહીં દાખલ કરવામાં આવ્યા હતા. 10થી વધુ ડૉક્ટરો અને 30થી વધુ નર્સિંગ સ્ટાફ સાથે શરૂ થયેલા આ સેન્ટરમાં દર્દીઓને તમામ સારવાર નિ: શુલ્ક આપવામાં આવે છે.
આ સેન્ટર હોસ્પિટલોથી અલગ હોવાનું દર્દીઓએ જણાવ્યું
ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફની કાળજી અને પરિવારજનોની હૂંફને કારણે આજે રવિવારે ગંભીરા અવસ્થામાંથી સાજા થયેલા ત્રણ દર્દીઓ સહિત કુલ 7 કોરોના દર્દીઓને રજા આપવામાં આવી હતી. સેન્ટરના ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ સહિત ભાજપી આગેવાનોએ તમામ દર્દીઓને તાળીઓના ગડગડાટ સાથે ઉત્સાહ વધારીને વિદાય આપી હતી, ત્યારે દર્દીઓએ પણ ડૉક્ટરો તેમજ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે કોઈએ આ સેન્ટરમાં આવવું ન પડે અને જો કોરોના સારવારની જરૂર પડે તો આ સેન્ટર હોસ્પિટલોથી અલગ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : મોરબીના 103 વર્ષના જીવરાજભાઇએ માત્ર 8 દિવસમાં જ કોરોનાને માત આપી
નમો કેર સેન્ટરમાં PPE કીટ સાથે સગાઓને પણ દર્દી સાથે મુલાકાતની છૂટ
કોરોના વાઈરસનો કહેર એવો છે કે, બધા કોરોના પોઝિટીવ દર્દીથી દૂર ભાગતા હોય છે. જ્યારે હોસ્પિટલોમાં પણ કોરોના દર્દી પાસે તેના પરિજનોને જવાની છૂટ નથી. જેના કારણે એકલા રહેતા કોરોના દર્દીઓનું મનોબળ તુટી જાય છે અને માનસિક રીતે હતાશામાં સરી પડતા, ઘણીવાર એમની સ્થિતિ બગડે છે, ત્યારે નવસારીમાં શરૂ થયેલા નમો કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના દર્દી સાથે તેના સ્નેહીજન PPE કીટ પહેરીને રહી શકે તેની છૂટ આપવામાં આવી છે. જેથી દર્દીનો આત્મવિશ્વાસ અને મનોબળ બની રહે છે અને કોરોના સામેની લડાઈમાં રિકવરી વહેલી આવે છે. જેથી મોતનો ભય પણ ઓછો થઈ જાય છે. જેથી દર્દીના સગાઓએ સંસ્થાના અભિગમને બિરદાવ્યો હતો.