મોરબી જિલ્લામાં કાર્યરત 205 સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ પૈકી 23 શાળાઓ કાયમી માન્યતા ધરાવે છે. બાકીની 182 શાળાઓ હંગામી માન્યતા ધરાવે છે. આ શાળાઓને કાયમી માન્યતા આપવા માટે સરકારના ધારાધોરણો પ્રમાણે યોગ્ય માળખું છે કે, નહિ તેમજ સરકારે નક્કી કરેલ માપદંડની ચકાસણી કરી શાળાઓને કાયમી માન્યતા મળે તે માટેની કવાયતના ભાગરૂપે ચેકિંગ ઝુંબેશ શરુ કરવામાં આવી છે.
જેમાં અત્યાર સુધીમાં શિક્ષણ વિભાગે કરેલ ચેકિંગમાં 62 શાળાઓને આવરી લેવાઈ છે. જો કે, આશ્ચર્યજનક રીતે 62 માંથી એક પણ શાળા કાયમી માન્યતા મેળવવાને પાત્રના હોવાનું જાણવા મળ્યું છે. શાળાઓને કાયમી માન્યતા આપવાની ઝુંબેશ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ જણાવે છે કે, રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત સમગ્ર જિલ્લામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તાલુકામાં 35, ટંકારા તાલુકામાં 8, વાંકાનેર તાલુકામાં 11 અને હળવદ તાલુકામાં 8 મળી કુલ 62 શાળાઓમાં ચેકીંગ કરીને સરકારના ધારાધોરણ પ્રમાણે જરૂરી સુવિધા , સલામતીની વ્યવસ્થા અને જરૂરી દસ્તાવેજો છે કે, નહિ તે તપાસવામાં આવ્યું હતું.
આ ચેકીંગમાં 62 પૈકી એક પણ શાળા કાયમી માન્યતા મેળવવાની પાત્રતા ધરાવતી ન હોવાનું સામે આવ્યું હતું. જેથી તમામ શાળાઓને નોટિસો આપીને સરકારના ધારાધોરણ અનુસરવા 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.