મોરબીઃ કોરોના વાઇરસને અટકાવવા માટે તંત્ર પૂરતા પ્રયાસો કરી રહ્યું છે. જેમાં ઘણી સંસ્થાઓ પણ પોતાની યથાશક્તિ પ્રમાણે તંત્રને મદદરૂપ બની રહી છે, ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પણ પછાત વિસ્તારોમાં લોકોને ચેપ ન લાગે તે માટે સેનેટાઇઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દરેક શેરી- ગલીઓ અને મહોલ્લાઓને સુરક્ષિત કરવામાં આવ્યા હતા.
કોરોનાની મહામારી દરમિયાન મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ માનવતાની સુવાસ ફેલાવી રહ્યું છે. જેમાં ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની આગેવાનીમાં ગ્રુપ દ્વારા ભુખ્યાઓની જઠરાગ્નિ ઠારવાની સાથે જરૂરિયાતમંદો અને ગરીબોની અનેક પ્રકારે સેવા કરવાનો મહાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. હાલ શહેરના પોષ વિસ્તારોમાં લોકો જાગૃત હોય કોરોનાથી બચવા માટે સ્વયં કાળજી રાખતા હોય છે. પરંતુ પછાત વિસ્તારોમાં લોકો આ મહામારીથી બરાબર રીતે અવગત ન હોય યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો પછાત વિસ્તારમાં સેવા કાજે પહોંચી ગયા હતા.
મોરબીના પછાત વિસ્તારો વાલ્મિકીવાસ, વણકરવાસ, રબારીવાસ, મતવાવાસ જેવા વિસ્તારો જ્યાં લોકોમાં કોરોનાની મહામારીની સમજ ઓછી છે તેમજ કોરોના વાઇરસથી બચવા શુ કરવું જોઈએ અને શુ ના કરવું જોઈએ તેવી જાણકારી નથી તેવા વિસ્તારોમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ ઘરે-ઘરે તેમજ ત્યાંના રસ્તાઓમાં દરેક શેરી મહોલ્લાઓ એરિયાને સેનેટાઈઝેશ કરવામાં આવ્યા હતા.