મોરબીઃ કોરોના મહામારીને પગલે એક જિલ્લાથી બીજા જિલ્લામાં પરિવહન પ્રતિબંધિત છે અને જિલ્લાની પોલીસ દ્વારા ચેકપોસ્ટ કાર્યરત હોવા છતાં અનેક લોકો કોરોના હોટસ્પોટ અમદાવાદ અને રાજકોટથી મોરબીમાં ઘુસી જાય છે. જેમાં વધુ 10 લોકો વાંકાનેર આવ્યા હતા. જેમની સામે ગુનો નોંધાયો હતો.
વાંકાનેર તાલુકા SSI વશરામભાઈ દેવાયતભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, કોરોના લોકડાઉનને પગલે લોકોની હેરફેર રોકવા તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ નહિ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. છતાં આરોપી કાન્તિલાલ છનાભાઇ વાઘેલા, લીલાબેન કાન્તિલાલ વાઘેલા, મૌલિક કાન્તીભાઈ વાઘેલા, નટવરલાલ છનાભાઇ વાઘેલા, જશુબેન નટવરલાલ વાઘેલા, કલ્પેશ નટવરલાલ વાઘેલા, નીલમબેન કલ્પેશભાઈ વાઘેલા, ફાલ્ગુનભાઈ નટવરલાલ વાઘેલા, હેતલકુમાર વિનોદકુમાર મોરીઠાકર અને મુણાલીબેન હેતલકુમાર મોરીઠાકર બધા અમદાવાદના હતા. મૂળ તીથવાના અમદાવાદથી પોતાના વતન વાંકાનેરના તીથવા ગામે આવી કોરોના વાઇરસ સંક્રમણ ફેલાય તેવું બેદરકારી પૂર્વક કૃત્ય કરી જાહેરનામાંનો ભંગ કર્યો હતો. પોલીસે IPC કલમ 188 અને 269 મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી હતી.