નવરાત્રી એટલે માઁ આદ્યશક્તિ અંબિકાનો પાવન અવસર. માતાજીની સાચી આરાધના અને પ્રાર્થનાનો કોઈ સુવર્ણ અવસરના કારણે માતાજીને નવરાત્રીમાં માનવામાં આવે છે. વિસનગરના કાંસા ગામે 45 વર્ષ જૂની શેરી ગરબાની ધાર્મિક, સાંસ્કૃતિક પરંપરા અને મર્યાદાના સંસ્કાર આજે પણ જીવંત જોવા મળી રહ્યાં છે. જેમાં, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ સહભાગી બન્યા છે.
આજના બદલાતા મોર્ડન યુગમાં માતાજીની સાચી આરાધના અને શક્તિનો આ પર્વ શહેરોમાં નિહાળવો તો કદાચ અશક્ય છે. 45 વર્ષ જૂના અનોખા શેરી ગરબાની રમઝટ જ્યાં થાય છે તે છે વિસનગરનું કાંસા ગામ. આ ગામમાં સુંદર રઢિયાળી રાત્રીમાં શેરી ગરબામાં મહિલાઓને માતાજીના રાસ ગરબા રમવા માટે પહેલી તક અપાય છે અને પછી પુરુષો ગરબે ઘૂમે છે.
અહીં માતાજીના પાવન પર્વના સંસ્કારોની મર્યાદાને ધ્યાનમાં રાખી સ્ત્રી-પુરુષો ક્યારેય એક સાથે ગરબા ગાતા નથી. તો વળી DJના તાલને પણ તોડી નાખે તેવા પ્રાચીન ગરબા ગામના વડીલો અને યુવકો પોતાના સ્વમુખે ગાય છે. આમ ગામના યુવાનોમાં સંસ્કૃતિ અને સંગીત કલાનું સિંચન થાય છે. માટે જ તો આ ગામની ઓળખ સમાન શકુબાઈનું આખ્યાન સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત થયું છે.
ગૌરવવંતા કાંસા ગામે યોજાતા આ શેરી ગરબા નિહાળવા મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે ગામની મુલાકત લીધી અને શેરી ગરબાની આ પ્રાચીન પદ્ધતિથી ગરબે ધૂમ્યા હતા.