આ કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લાના અંતરીયાળ આદિજાતિ વિસ્તારના કડાણા તાલુકાના આગરવાડા ગામની બાળા મેઘના પરેશભાઇ ડામોરને જન્મજાત હ્રદય રોગમાંથી મુક્તિ મળી છે. જે બદલ આ પરીવારે સંવેદનશીલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.
કડાણા તાલુકાના આગરવાડા ગામના પરેશભાઈ ડામોર ખેતી કરી તેમનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરે દિકરી મેઘનાનો જન્મ થતાં ઘરમાં આનંદની લાગણી છવાઇ હતી. પરંતુ આ દિકરીનો વિકાસ બીજા બાળકો કરતા ઓછો હતો. તેમજ તેને વારંવાર શરદી ઉધરસની ફરિયાદ પણ રહેતી હતી. શાળામાં બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે આવેલા આરોગ્ય તપાસણી ટીમે મેઘનાને તપાસ્યા બાદ જણાવ્યું હતું કે, "દિકરીને હ્રદયની તકલીફ હોઈ શકે છે."
આ સાંભળતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેમને રાત-દિવસ દીકરીની સારવારની ચિંતા થતી હતી. પૈસાના અભાવના કારણે બાળકીની સારવાર કેવી રીતે થશે, કોણ સહાય કરશે વિગેરે વિચારોની સતાવ્યા કરતાં હતાં. ત્યારે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમના પરેશભાઈના જીવનમાં આશાની કિરણ જાગી. જ્યાં તેમને બાળકોના તબીબે સંવેદનશીલ સરકાર હૃદયની જન્મજાત ખામીના ઓપરેશન નિઃશુલ્ક કરાવી આપતી હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ તબીબની સલાહ મુજબ પરેશભાઈએ બાળકીને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવવા લઈ ગયાં અને તેમને બાળકીને વધુ સારવાર માટે અમદાવાદની યુ.એન.મહેતા હૉસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું. ત્યાં તેના હૃદયનું સફળ ઓપરેશન કોઇ પણ જાતના ખર્ચ વિના થયું હતું. આજે તે બાળકી જન્મજાત હ્રદય રોગની બીમારીમાંથી મુક્ત થઈ મુક્તમને રમી રહી છે.
આ કાર્યક્રમ અંગે વાત કરતાં પરેશભાઇ જણાવ્યું હતું કે, "સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત મારા બાળકને લાભ મળ્યો અને હદયનું સફળ ઓપરેશન કોઈ પણ જાતના ખર્ચ વિના થયું. જે બદલ હું સરકારનો હું ઋણી છું. જો આ યોજના ના હોત તો મારી દિકરીને આજીવન આ ખામી સહન કરવી પડત. જેના વિચાર માત્રથી મારુ હ્રદય કંપી ઉઠતું હતું. પરંતુ આ કાર્યક્રમથી મારી દિકરીની જન્મજાત ખામી દૂર થઇ. હવે તે સ્વસ્થ જીવન જીવી શકશે. હું આ કાર્યક્રમને બિરદાવું છું અને ગુજરાતની સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કરૂ છું."