લુણાવાડા: લુણાવાડામાં એક શિક્ષક પોતાની પ્રેમીકાના કારણે પોતાની પત્ની સાથે મારઝૂડ કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે પરિણીતાએ લુણાવાડા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ અનુસાર દાહોદ જિલ્લાના સુખસરની શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકને અન્ય યુવતી સાથે શારીરિક સંબંધથી બાળક થતાં છેલ્લા છ વર્ષથી પત્ની સાથે મારઝૂડ કરતો હતો. હવે લલિત ઠાકોરે પત્નીને માર મારી શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતા પરણિતાએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પરિણીતાએ લુણાવાડા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં પતિ તેમજ શિક્ષિકાનું નામ લખાવ્યું છે.
વર્ષ 2004માં પરિણીતાના લગ્ન લલિત શાંતિલાલ ઠાકોર સાથે થયા હતા. તેમને બે દીકરા છે. વર્ષ 2008 પછી તેમના પતિને સુખસર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી મળી હતી. જ્યારે પરિણીતાને સુરેન્દ્રનગર ખાતે નોકરી મળી હતી. જોકે, લલિતે પત્નીને નોકરી કરવા દીધી ન હતી. શિક્ષક તરીકે નોકરી ચાલુ કર્યા પછી અપડાઉન કરવાનું શરૂ કર્યું હતું.
લલિત ઠાકોર કૃષિશાળા સુખસરમાં શિક્ષક તરીકે નોકરી કરતી યુવતીના સંપર્કમાં આવ્યા હતા, જે પણ લલિત સાથે કારમાં અપડાઉન કરતી હતી. આથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. છેલ્લા 6 વર્ષથી બંને સંબંધમાં હતા. આ અંગે લલિતની પત્નીને જાણ થતાં બંને વચ્ચે ઝઘડો થયો એટલે લલિતે તેની પત્ની સાથે મારપીટ કરી હતી. બંને વચ્ચે આ બાબતે અનેક વાર ઝઘડા થતા હતા. ઘણી વાર તો પરિણીતા પિયર પણ જતી રહી હતી.
આ પછી લલિત પરિણીતાની જાણ બહાર ગોધરામાં ભાડાનું મકાન રાખી તેની સાથે રહેતો હતો. 29 એપ્રિલ 2020ના રોજ ગોધરાથી લુણાવાડા ભાડાના મકાનમાં શિક્ષિકાને લઈ રહેવા આવી ગયા હતા. તેમની સાથે શિક્ષકાથી થયેલો દીકરો પણ હતો. આ અંગે પરિણીતાને ખબર પડતા બંને વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો. આ પછી પતિ લલિત અને શિક્ષિકાએ તેને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. 25મી સપ્ટેમ્બરે લલિત સામે માનસિક ત્રાસ આપી, મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતા છેલ્લા ત્રણ દિવસથી તેના માતાપિતાના ઘરે રહે છે.