મહીસાગરઃ ચાંપેલીમાં દર્દીઓને સરળતાથી રક્ત મળી રહે તેવા હેતુથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.બી. શાહની રાહબરીમાં ઉંદરા પ્રાથમિક આરોગ્યનાં મેડિકલ ઓફિસર ડૉ. રવિ શેઠ અને રેડક્રોસ સોસાયટીના ડૉ. ચૌહાણ તેમજ આરોગ્ય ટીમ દ્વારા યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં 44 જેટલા રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં અનેરું યોગદાન આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં દાતાઓ જ્યારે કેમ્પના સ્થળે આવ્યા ત્યારે તેમને થર્મલ ગનથી આરોગ્ય તપાસ કરી તેમના હાથ સાફ કરવા માટે હેન્ડવોશ તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સિનિયર મેડિકલ ઓફિસર બિરેન્દ્રસીંગે રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઇ સાવચેતીના તમામ પગલા સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓને બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુ રહિત રહે તેનો સુચારુ આયોજન કર્યું હતું. આ સાથે આ રકતદાન કેમ્પમાં રક્તદાન કરનારા દરેક રકતદાતાને રેડ ક્રોસ સોસાયટી ગોધરા દ્રારા પ્રમાણપત્ર અને થર્મોસ મોમેન્ટો તરીકે આપવામાં આવ્યા હતાં.