ગાંધીજીના વિચારોને લોકો સુધી પહોંચાડી તેને અપનાવવાની અપીલ સાથે દેશને સ્વચ્છ, એક જૂથ, અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના આશય સાથે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આજે કચ્છના આદિપુર ખાતે આવેલી ગાંધી સમાધિથી ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે વર્તમાન અને ભાવિ પેઢી ગાંધીજીના વિચારોથી અવગત થવા સાથે તેને અપનાવે અને દેશને સ્વચ્છ તેમજ સ્વસ્થ બનાવવાના કાર્યમાં સહયોગ આપે તેવા ઉદ્દેશ્ય સાથેની યાત્રા કચ્છના તમામ તાલુકામાંથી નીકળશે. યાત્રાની શરૂઆત અને પૂર્ણાહૂતિ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા સ્થળોએ થશે. જે અંતર્ગત આજે આદિપુરમાં ગાંધી સમાધિથી યાત્રાનો પ્રારંભ કરાયો હતો અને ભુજ ખાતે ગાંધીજીએ જ્યાં સભા યોજી હતી, તે નાગર વાડી ખાતે સમાપન થશે. યાત્રા અંતર્ગત સ્વચ્છતા, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા, ગાંધી વિચારધારા ધરાવતા વડીલોનું સન્માન, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે.
ગાંધીજીના વિચારોને લોકો અપનાવે તેવી અપીલ કરતા જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે જણાવ્યું કે, દિવસો પસાર થાય છે પણ વિચારો કાયમી રહે છે જ્યારે ભાજપના મહામંત્રી અનિરુદ્ધ ભાઈ દવે જણાવ્યું હતું કે, યાત્રા કચ્છના તમામ તાલુકા તથા શહેરમાં ફરશે દરરોજ અલગ-અલગ તાલુકામાં અંદાજીત 250 કિમી પદયાત્રા યોજાશે.