કચ્છ : સરહદી જિલ્લો કચ્છ છેલ્લાં 15 વર્ષોથી પ્રવાસન માટે વિશ્વવિખ્યાત બન્યું છે. કચ્છ જિલ્લામાં વિજય વિલાસ પેલેસ પ્રવાસીઓ માટે હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ કચ્છના માંડવીના દરિયા કિનારે આવેલા આ ભવ્ય મહેલની અવશ્ય મુલાકાત લે છે. ત્યારે હવેથી આ મહેલ જોવા આવતા પ્રવાસીઓને કચ્છના રાજાશાહી ઇતિહાસથી પણ માહિતગાર કરવામાં આવશે. આજે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે મહારાવ વિજયરાજજીની જન્મતિથિના દિવસે આ ભવ્ય મહેલ ખાતે કચ્છ રાજપરિવાર દ્વારા મહારાવ વિજયરાજજી અને મહારાવ પ્રાગમલજી ત્રીજાની પૂર્ણ કદની 6.5 અને 7.5 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાઓ ઊભી કરવામાં આવી છે.
![કચ્છનો ભવ્ય ઇતિહાસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-09-2023/19454896_1.jpg)
કચ્છ દેખા તો સબ કુછ દેખાનો પ્રયાસ : કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે મહારાઓ વિજયરાજજીની પણ જન્મતિથિ હોતાં કચ્છ રાજપરિવાર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ રાજપરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તે કચ્છ દેખા તો સબ કુછ દેખા થઈ જશે.
આજે મહારાવ વિજયરાજજીની જન્મતિથિ નિમિતે મહારાણી પ્રીતિદેવીની પ્રેરણાથી અહીં મહારાવ વિજયરાજજીની અને કચ્છના અંતિમ રાજા પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેવી રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસન ક્ષેત્રે એક એક મોરપીંછ ઉમેરતા જાય છે, તેવી રીતે ભુજમાં આવેલ ભુજીયા ડુંગરને વિકસિત કરવામાં આવે તો જે સૂત્ર છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તે કચ્છ દેખા તો સબ કુછ દેખા થઈ જશે. પ્રવાસીઓ અહીં આવે અને જાણે કે આ વિજય વિલાસ પેલેસ મહારાવ ખેંગારજીની પ્રેરણા હતી મહારાવ વિજયરાજજીએ બનાવ્યું હતું અને મહારાવ પ્રાગમલજી ત્રીજાએ તેની દેખરેખ રાખી હતી. જેની સારસંભાળ આજે મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છ રાખી રહ્યા છે...ઇન્દ્રજીતસિંહ જાડેજા (કચ્છ રાજપરિવારના કુંવર)
જન્મતિથિ નિમિતે પ્રતિમાનું અનાવરણ : માંડવીનું વિજય વિલાસ પેલેસ જેમના શાસન કાળમાં બન્યું હતું તે મહારાઓ ખેંગારજી ત્રીજાની ઇટાલિયન માર્બલની પ્રતિમા અહીં પહેલેથી જ ઊભી કરવામાં આવી છે. ત્યારે આજે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે મહારાવ વિજયરાજજી અને કચ્છના અંતિમ રાજવી પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાઓ આજે ઊભી કરવામાં આવી હતી. આ પ્રતિમાઓ થકી દેશ વિદેશના પ્રવાસીઓ મહારાવ ખેંગારજી ત્રીજાના શાસન કાળમાં બનેલા વિજય વિલાસ પેલેસ ખાતે મહેલના સ્વપ્નદૃષ્ટા મહારાવ વિજયરાજજી તેમજ આ મહેલની સારસંભાળ લેનારા કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાઓ જોઈ કચ્છનો ભવ્ય ઇતિહાસ જાણી શકશે.
500 વર્ષ જેટલું આયુષ્ય ધરાવતી પ્રતિમાઓ : મહારાવ પ્રાગમલજી ત્રીજાની આ કાંસ્યની મૂર્તિ હાલ વડોદરા ખાતે શિલ્પકાર તરીકે પોતાની કલાકારી કરતા અને મૂળ કચ્છના એવા રુદ્ર ઠાકર દ્વારા બનાવવામાં આવી છે.
આ મૂર્તિની ખાસિયતની વાત કરવામાં આવે તો આ મૂર્તિની વજન 450 થી 500 કિલો જેટલું છે અને ખાસ કરીને તેનું આયુષ્ય છે તે 500 વર્ષ જેટલું છે. દરિયાઈ વિસ્તારના વાતાવરણમાં તેને કોઈ અસર નહીં થાય અને તેની શોભા અને આયુષ્ય વધશે. પ્રત્યેક મૂર્તિને બનાવતા 3 મહિના જેટલો સમય લાગ્યો હતો. આ અગાઉ પણ શિલ્પકાર રુદ્ર દ્વારા મહારાવના નિવાસ્થાને તેમજ પ્રાગ મહલ ખાતે રાજાની મૂર્તિ બનાવવામાં આવી હતી તો ભુજના આશાપુરા મંદિરમાં પણ એક યંત્ર તેના દ્વારા બનાવવામાં આવ્યું છે. પ્રાગમલજી ત્રીજાની પ્રતિમા 7.5 ફુટની છે, જ્યારે મહારાવ વિજયરાજજીની પ્રતિમા 6.6 ફૂટની છે...રુદ્ર ઠાકર (શિલ્પકાર)
વિજય વિલાસ પેલેસ રાજપૂત સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો : માંડવી ખાતે 450 એકરના વિશાળ વન વચ્ચે વિજય વિલાસ પેલેસ ઉભું કરવામાં આવ્યું છે. લાખો પ્રવાસીઓ દર વર્ષે આ મહેલની મુલાકાતે આવતા હોય છે. મહારાવ ખેંગારજી ત્રીજાના શાસન કાળ દરમિયાન યુવરાજ વિજયરાજજી દ્વારા આ મહેલ બનાવવામાં આવ્યો હતો જેને વિજય વિલાસ પેલેસ નામ અપાયું હતું. કચ્છના અંતિમ રાજા પ્રાગમલજી ત્રીજાના દાદા એટલે કે વિજ્યરાજજીએ લાલ પથ્થરોમાંથી આ મહેલ બનાવ્યો હતો કે જે રાજપૂત સ્થાપત્યનો એક શ્રેષ્ઠ નમૂનો છે જેને જોવા દેશવિદેશના પર્યટકો કચ્છ આવે છે.
- Exhibition of antiques in Kutch : કચ્છના સંગ્રાહકો દ્વારા ભુજની વિજયરાજજી લાયબ્રેરીમાં એન્ટીક વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું
- Kutch Photography Exhibition : પ્રાગમહેલમાં તસવીરોનું પ્રદર્શન યોજાયું, વિજેતાઓને પુરસ્કારો એનાયત કરાયા
- Bhuj Lok Melo : ભુજમાં હમીરસરને કાંઠે જામશે સાતમ-આઠમનો મેળો, આ પ્રકારના મેળામાં હશે આકર્ષણ કેન્દ્રો