કચ્છ: બિપરજોય વાવાઝોડાની તોળાતી ઘાત વચ્ચે ખાસ કરીને પ્રસુતા મહિલાઓની ખાસ સારસંભાળ અને તેઓને સલામત સ્થળે ખસેડવા સરકારના આદેશના પગલે કચ્છનું વહીવટીતંત્ર કામગીરી કરી રહ્યું છે. ત્યારે 9 માસની સર્ગભા મહિલાને ભારે પવન અને વાવાઝોડાની સ્થિતિ વચ્ચે રસલીયા ગામથી ભુજની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયા રાત્રે તેમણે બાળકીને જન્મ આપ્યો હતો.
બાળકીનો જન્મ: નખત્રાણા તાલુકાના રસલીયા ગામના કૈલાશબા ગનુભા જાડેજાને સર્ગભા અવસ્થાના 9 માસ પૂર્ણ થતા હોવાથી ગમે ત્યારે પ્રસુતિ થઇ શકે તેવી સ્થિતિ હતી. કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે પવન અને વરસાદની સ્થિતિમાં કૈલાશબા મુશ્કેલીમાં મુકાઇ શકે તેમ હોવાથી પરિસ્થિતિને પારખીને ગઇકાલે બપોરે આંગણવાડી કાર્યકરોએ સર્ગભા મહિલાને તત્કાલ અસરથી 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજની સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરાવ્યા હતા. જયાં રાત્રે 9.30 કલાકે લક્ષ્મી સ્વરૂપ બાળકીનો જન્મ થતાં પરીવારમાં ખુશીનું મોજું ફેલાયું હતું.
"વાવાઝોડાની સ્થિતમાં છેલ્લા દિવસો હોવાથી ગમે ત્યારે પ્રસુતિ થઇ શકે તેમ હોવાથી પરીવાર ચિંતામાં હતો. પરંતુ અમારી ચિંતા સરકારે દુર કરીને સામેથી સારસંભાળ સાથે ખુદ હોસ્પિટલ પહોંચાડતા સુખરૂપ અવસ્થામાં કોઇપણ સમસ્યા વગર બાળકીનો જન્મ થઇ શકયો હતો. હું મુખ્ય ભૂપેન્દ્ર પટેલ તથા કલેકટરશ્રી અમિત અરોરાનો ખાસ આભાર માનૂ છું કે તેમણે વાવાઝોડાની ગંભીર સ્થિતિમાં પણ પ્રસુતા બહેનોની સારસંભાળ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરી છે"-- કૈલાશબા જાડેજા (સર્ગભા મહિલા)
વાવાઝોડાની ગંભીર સ્થિતિ:આ વાવાઝોડું જ્યારે ગુજરાતમાં ટકરાશે ત્યારે પવનની ગતિ 135થી 150 સુધીની હોઈ શકે છે. હાલમાં આ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છના કિનારા બાજું આગળ વધી રહ્યું છે. પણ અંતર વધારે હોવાને કારણે એટલી તીવ્ર અસર નથી જેટલી ટકરાતી વખતે હોય છે. જો આ વાવાઝોડું આવશે તો ઘણું નુકશાન ગુજરાતના લોકોને થઇ શકશે.જેના કારણે સરકાર તમામ તૈયારીઓ કરી રહી છે કે કોઇને મુશ્કેલી લોકોને ના થવી જોઇએ.