- ઘનકચરાના નિકાલથી મનપા ખાતર, ગેસ અને આર્થિક ઉપાર્જન મેળવશે
- 300 રૂપિયા પ્રતિ એક ટન નિકાલ ખર્ચ સામે અંદાજે 500 રૂપિયાની આવક
- ઘન કચરાનો નિકાલ થતાં પર્યાવરણ પણ શુદ્ધ બનશે
જૂનાગઢ: મનપા દ્વારા શહેરમાં એકત્રિત થયેલા ઘનકચરાના નિકાલને લઈને એક નવી યોજના અમલમાં મુકવામાં આવશે. જેમાં કોર્પોરેશન આધુનિક ઢબે કચરાનો નિકાલ કરીને તેમાંથી આવક મેળવવાની દિશામાં આગળ વધી રહી છે. ઘન કચરાના નિકાલ વડે ગેસ અને ખાતર જેવી ઉપ પેદાશો પણ મેળવવામાં આવશે. જેથી મનપાની આવકમાં વધારો થશે.
કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં જોવા મળશે વધારો
કોર્પોરેશન હસ્તકની ડમ્પિંગ સાઈડ પર અંદાજિત ચાર લાખ ટન કચરો એકત્ર કરવામાં આવ્યો છે, જેના નિકાલ માટે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે. આ કંપની આગામી દિવસોમાં ઘનકચરાના નિકાલને લઈને કામગીરી શરૂ કરશે. કચરાના નિકાલ માટે ખાનગી કંપનીને પ્રતિ એક ટનના 300 રૂપિયા લેખે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ચુકવણું કરશે જેની સામે આ ઘન કચરામાંથી ઉત્પન્ન થતાં ગેસ અને ખાતર થકી કોર્પોરેશન અંદાજીત 500 રૂપિયા જેવી આવક પણ પ્રતિ એક ટન કચરામાંથી મેળવશે આમ કોર્પોરેશનને ઘન કચરાની સમસ્યામાંથી મુક્તિ મળશે અને સાથે સાથે પ્રત્યેક ટનમાંથી કોર્પોરેશનને 500 રૂપિયા જેવી ચોખ્ખી આવક થશે તેવો પ્રાથમિક અંદાજ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે.