- જૂનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં ધોળે દિવસે ચોરીનો બનાવ
- 80 હજાર રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી
- ફરિયાદને આધારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસે હાથ ધરી તપાસ
જૂનાગઢ : શહેરમાં આવેલા તળાવ દરવાજા વિસ્તારમાં આવેલા શાંતિ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા રાજેશ અમૃતિયાના મકાનમાં સોમવારની સાંજે 6થી 8 કલાકના અરસામાં ચોરીની ઘટના બની હતી. બે કલાકમાં તસ્કરો ઘરમાં પ્રવેશીને કેટલીક રોકડ અને સોના-ચાંદીના દાગીના લઇને ફરાર થઇ જતા બી ડિવિઝન પોલીસમાં રાજેશ અમૃતિયાએ ચોરીની ફરિયાદ નોંધાવી છે. જે અંતર્ગત જૂનાગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - જૂનાગઢ પોલીસે ભારતીય બનાવટના 16 ગેરકાયદેસર હથિયાર અને 15 કારતૂસ ઝડપી પાડયા
જૂનાગઢ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
મૃતિયા પરિવાર બહારગામથી રાત્રિના 8 કલાકે ઘરે પરત આવતાં ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. ઘરનો સામાન વેરવિખેર જણાતા તેમને ઘરના કબાટમાં તપાસ કરતા રાખવામાં આવેલી રોકડ તેમજ કેટલાક દાગીના ચોરી થયા હોવાની જાણ થઇ હતી. જેને લઇને રાજેશ અમૃતિયાએ જૂનાગઢ બી ડિવિઝનમાં 80 હજાર રોકડા અને સોના-ચાંદીના દાગીના એમ કુલ મળીને 1.56 લાખની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજેશની ફરિયાદને આધારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - જૂનાગઢ પોલીસે રૂપિયા 6 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો