જામનગર : વર્તમાનમાં પ્રાકૃતિક ખેતી-સજીવ ખેતી પર ભાર મૂકી વર્ષો જૂના કેમિકલગ્રસ્ત ખેતરોને તેનાથી મુક્ત કરી, ફરી નવસાધ્ય કરી મબલખ પાક મેળવવાની પહેલ થઈ રહી છે. ત્યારે જિલ્લાના ધ્રોલ ગામના ખેડૂત દંપતિ જિજ્ઞેશભાઇ અને દિપ્તીબેન પરમારે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેઓ ૧૧ વીઘાના વિસ્તારમાં સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરી મગફળી, મકાઈ, બાજરી, મગ, મઠ, અડદ, હળદર જેવા અનેક પાકો મેળવે છે અને સંપૂર્ણ ગુણવત્તાલક્ષી, આરોગ્યપ્રદ, રસાયણરહિત આ પાકો મેળવી વર્ષે આશરે ૧૧ લાખની આવક મેળવે છે.

આ દંપતીએ ડ્ર્રીપ ઈરીગેશન સિસ્ટમ દ્વારા સજીવ ખેતીમાં અનેરી સફળતા મેળવી છે. આ અંગે જિજ્ઞેશભાઇ ખેડૂત કહે છે કે, ધ્રોલ વિસ્તારમાં ઓછા વરસાદને કારણે ઘણી વખત પાણીની કટોકટી જોવા મળે છે. તેમજ અમારા વિસ્તારોમાં ખેતીના પાણી માટે નજીકમાં કોઇ ડેમ સાઇટ ન હોવાથી ભૂગર્ભ જળનો ઉપયોગ કરવો પડે છે. ત્યારે ટપક પદ્ધતિથી પિયત કરવી ખૂબ અનૂકુળ રહે છે. ઓછું પાણી, ગુણવત્તાલક્ષી બીજ પ્રાપ્તિ અને વીજળીની બચત સાથે વધુમાં વધુ પાક મેળવી, સંપૂર્ણ ગુણવત્તાલક્ષી ઉત્પાદન અમે મેળવી શક્યા છીએ. સાથે જ સંપૂર્ણ ગાય આધારિત ખેતી મારા ખેતરને, મારા પાકને કેમિકલથી મુક્ત રાખે છે.

છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરતા જિજ્ઞેશભાઇ અને દિપ્તીબેન ખેતીની સતત નવી પદ્ધતિઓ તથા નવી ટેક્નિકથીનો સતત અભ્યાસ કરતા રહે છે. અગાઉ બ્રાસપાર્ટનું કારખાનુ ચલાવતા જિજ્ઞેશભાઇએ દસ વર્ષ અગાઉ મંદી અને અન્ય મુશ્કેલી સમયે કારખાનાને તિલાંજલી આપી ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યો. આ પ્રયાસોમાં તેમને આરંભમાં જ સરકારની સૌરઉર્જા સંચાલિત સિંચાઇ પંપ માટેની યોજનાનો લાભ મળ્યો. આ યોજના અંતર્ગત ખેડૂત દંપતિએ ૫ હોર્સપાવરનું સોલાર કનેકશન લઇ ખેતીની શરૂઆત કરી હતી. આ યોજના માટે તેઓ આભાર માનતા કહે છે કે, ખેડૂતો માટે સરકારની સોલારની યોજના અમારા માટે સફળ યોજના સાબિત થઇ છે. આ યોજનાના લાભ બાદ આજ દિન સુધી ખેતીમાં ક્યાંય પણ અટક્યા નથી. આ માટે અમે રાજ્ય સરકારના ખૂબ આભારી છીએ.
ખેડૂત દંપતિ દ્વારા મેળવેલા ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી “જશોદા ફાર્મ”ના નામ હેઠળ જાતે જ વેચાણ કરવામાં આવે છે. આ માટે જામનગર, રાજકોટ, મોરબી, વાંકાનેર શહેરોમાં જિજ્ઞેશભાઇ વચેટિયા વગર જ સીધા ગ્રાહકોને વેચાણ કરે છે. આ ઉપરાંત ગાયના છાણ, કપૂર અને અન્ય ઔષધિઓ દ્વારા ધૂપસ્ટિક, પ્રાકૃતિક ફિનાઇલ “ગોનાઇલ”, રેડીયેશનને નાબૂદ કરવા માટેના ગાયના છાણ તથા ગૌમૂત્રથી બનાવવામાં આવતા ટેગનું પણ ઉત્પાદન કરી વેચાણ કરે છે.
હાલમાં આ ખેડૂત દંપતિ આધુનિક ખેતીથી મગ, અડદ, વાલ, ચણા, તુવેર જેવા કઠોળ, ઘઉં, બાજરી, મકાઈ જેવા ધાન્ય અને મગફળી, તલ જેવા તેલીબીયાનું વાવેતર કરે છે. આ ઉપરાંત હળદર, આદુ જેવા પાક અન્ય શાકભાજીનો સફળ અને મબલખ પાક લે છે. સાથે જ ખેતીમાં સતત નવા પ્રયોગો કરતા રહેતા જિજ્ઞેશભાઇએ ચેરી જેવા અન્ય ફળોના વાવેતર કરી તેના સફળ પરિણામો મેળવવાની કામગીરી પણ હાલ શરૂ કરી છે.