જામનગર: સોમવારે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર રવિશંકરે કોરોના વાઇરસની બીમારી અંગે આગામી દિવસોમાં જિલ્લામાં લેનારા પગલાં વિશે અન્ય અધિકારી/કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. તેમજ લોકોને અપીલ પણ કરી હતી કે, જામનગરમાં પ્રથમ પોઝિટિવ કેસ રવિવારે જોવા મળેલા છે.
શહેરના જી.આઇ.ડી.સી. અને મસીતીયા વિસ્તારને સંપૂર્ણ ક્વોરેંટાઇન કરવામાં આવેલા છે અને અવરજવર બંધ કરવામાં આવી છે, ત્યારે આ વિસ્તારના લોકો પોતાના ઘરમાંથી અન્ય ઘરમાં જવાનો પ્રયાસ પણ ન કરે અન્યથા આ રોગ વધુ ફેલાવાનો ભય છે. આ સાથે જ લોકો પોતાની આસપાસમાં પણ ક્યાંય જો કોઇ વિદેશથી કે અન્ય રાજ્યમાંથી આવેલા હોય તો તંત્રને તુરંત જાણ કરે તેમ જણાવવામાં આવ્યું હતું.
રવિવાર રાતથી જ તંત્ર દ્વારા દરેક વિસ્તારને સોડીયમ હાઇપોક્લોરાઈડના દ્વાવણથી સેનીટાઇઝ કરવાનું શરૂ થયું હતું. આ કાર્યમાં લોકો સહયોગ આપે. આ સાથે જ જે લોકોને શરદી, ઉધરસ કે તાવની ફરિયાદ હોય તેઓ હેલ્પલાઇન નં. ૦૨૮૮-૨૫૫૩૧૫૨, ૦૨૮૮ ૨૫૫૩૧૫૩, ૦૨૮૮-૨૫૫૩૧૬૭ ઉપર સંપર્ક કરે જેથી આરોગ્ય વિભાગ આપને મદદરૂપ થઇ શકે. જો કોઇ લોકો કોઇપણ માહિતી છુપાવશે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા સમાહર્તાએ ઉમેર્યુ હતું.